દેશભરમાં ૧૧ મહિનામાં ડેન્ગીથી ૨૧૬નાં મોત
ડેન્ગીના કેસ અને મૃત્યુના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે જેની સામે ચિકનગુનિયા અને મલેરિયાના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય કક્ષાના આરોગ્યપ્રધાન અબુ હાસમ ખાન ચૌધરીએ ગઈ કાલે સંસદમાં કહ્યું હતું કે ૨૦૧૦માં ડેન્ગીને કારણે દેશમાં કુલ ૧૧૦ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૨૦૧૧માં આ બીમારીએ ૧૬૯ લોકોનો ભોગ લીધો હતો.
આ વર્ષે ૧૫ નવેમ્બર સુધીમાં ડેન્ગીના કેસોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ હતી. ૨૦૧૧માં ડેન્ગીના કુલ ૧૮,૮૬૦ કેસ નોંધાયા હતા, જેની સામે આ વર્ષે ૧૫ નવેમ્બર સુધીમાં કુલ ૩૫,૦૬૬ કેસ નોંધાયા છે. માત્ર તામિલનાડુમાં જ ડેન્ગીને કારણે ૬૦નાં મોત થયાં છે એ પછી ૫૯ મોત મહારાષ્ટ્રમાં થયાં છે. તામિલનાડુમાં ડેન્ગીના સૌથી વધારે ૯૨૪૯ કેસ નોંધાયા હતા.