Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 95,735 કેસ, 1,172 દર્દીઓનાં મોત
તસવીર: પ્રદીપ ધિવાર
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં પણ વધારો નોંધાયો છે અને કોરોનાને લીધે જીવ ગુમાવનારાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે નોંધાયેલા આંકડાઓએ આજ સુધીના તમામ રેકૉર્ડ્સ તોડી દીધા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 95,735 નવા કેસ નોંધાયા છે અને 1,172 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 44,65,864 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,19,018 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 34,71,784 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 72,939 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 75,062 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 23,577 નવા કેસ નોંધાયા છે અને 380 લોકોના મોત થયા છે. જ્યારે 13,906 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 9,67,349 થઈ ગયો છે. તેમાંથી 2,53,100 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 27,787 લોકો મૃત્યુ પામ્યા છે અને 6,86,462 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે નોંધાયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,329 નવા કેસ નોંધાયા હતા અને 16 લોકોના મોત થયા હતા. જ્યારે 1,336 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,08,133 થઈ ગયો છે. જેમાંથી 16,296 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,149 લોકોના મોત થયા છે અને 88,688 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં નવ સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 5,29,34,433 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે બુધવારે 11,29,756 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.