Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 29,429 કેસ, 582 દર્દીઓનાં મોત
મુંબઈમાં આવેલા દાદરમાં રહેવાસીઓનો કોરોના ટેસ્ટ કરતા પાલિકાના આરોગ્ય કર્મચારીઓ (તસવીર: આશિષ રાજે)
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. એક બાજુ દેશમાં સંક્રમિતોનો આંકડો નવ લાખને પાર કરી ગયો છે. છેલ્લા કેટલાય દિવસોથી 27,000 કે 28,000થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ગઈકાલે નોંધાયેલા કેસે તમામ રેર્કોર્ડ તોડી દીધા છે અને એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા છે. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં મંગળવારે સવારે આઠ વાગ્યાથી બુધવારે સવારે આઠ વાગ્યા સુધીમાં 29,429 નવા કેસ નોંધાયા છે અને 582 દર્દીઓના મોત થયા છે. આ પહેલા 13 જૂલાઈએ સૌથી વધુ 28,178 કેસ નોંધાયા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા કેસ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 9,36,181 કેસ નોંધાયા છે. જેમાંથી 3,19,840 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 5,92,032 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને કુલ 24,309 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 6,741 નવા કેસ નોંધાયા છે અને 213 લોકોના મોત થયા છે. જ્યારે 4,500 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,67,665 થઈ ગયો છે. તેમાંથી 1,07,963 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 10,695 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,49,007 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 915 નવા કેસ નોંધાયા હતા અને 14 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સતત બીજા દિવસે 900 કે તેના કરતા વધુ કેસ નોંધાયા છે. જ્યારે 749 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 43,723 થઈ ગયો છે. જેમાંથી 11,097 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 2,069 લોકોના મોત થયા છે અને 30,519 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં 14 જૂલાઈ સુધીમાં કોરોના વાયરસના કુલ 1,24,12,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે મંગળવારે 3,20,161 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.