ભારતમાં કોરોનાનાં કેસિઝ દોઢ લાખથી વધુ, કર્ણાટકમાં ખુલશે મંદિરો
ગુજરાત 14,829 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે. ત્યારબાદ દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને બિહાર છે.
દેશમાં 1,50,793 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 4,344 લોકોના મોત થયા છે. સાથે જ 64,277 લોકો સાજા થયા છે. જ્યાં સૌથી વધુ કોરોનાનાં કેસ હોય તે રાજ્ય તરીકે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્ર 54,758 સંક્રમિતો છે જ્યાં 1,792 લોકોએ જીવ ગુમાવ્યો છે. તામિલનાડુ 17,728 સંક્રમિતો સાથે બીજા ક્રમે છે જ્યાં 128 લોકોના મોત થયા છે. ગુજરાત 14,829 દર્દીઓ સાથે ત્રીજા નંબરે છે. ત્યારબાદ દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને બિહાર છે.
વંદેભારત મિશન
ADVERTISEMENT
વંદે ભારત મિશન હેઠળ દુનિયાના અલગ અલગ દેશમાંથી 25 મે સુધી 30 હજાર ભારતીયોને લવાયા છે. જેના માટે 158 ફ્લાઈટ્સ કામે લગાડાઇ હતી. આ ઉપરાંત 10 હજાર લોકો દેશની બહાર ગયા છે. 7મે થી આ મિશન શરૂ કરાયું અને તેનો બીજો તબક્કો 16મી મેથી શરૂ થયો હતો જે હવે 16 જૂન સુધી લંબાવાયો છે.
કર્ણાટકમાં ખુલશે મંદિરો
કર્ણાટકમાં 34 હજાર મંદિરો બંધ છે જે તમામ 1લી જૂનથી ખોલવામાં આવશે. બુધવારથી 52 મંદિરોમાં ઓનલાઈન સેવા માટે બુકિંગ પણ શરૂ થઈ જશે.
હાઇડ્રોક્લોરોક્વીનનો ઉપયોગ ચાલુ રખાશે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જણાવ્યું કે તે કોવિડ-19ના ઈલાજમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) વપરાશ ચાલુ રખાશે. ICMRના ડાયરેક્ટર જનરલ ડોક્ટર બલરામ ભાર્ગવે કહ્યું- કાઉન્સિલે આ ટેબલેટને વધારે અસરકારક ગણાવી છે તથા તેની આડઅસરો પણ બહુ ઓછી છે. આ નિવેદન અગત્યનું છે કારણકે WHOએ થોડા દિવસ પહેલાં જ મેલેરિયાની દવા HCQની ક્લિનિકલ ટ્રાયલ પર અમુદતનો પ્રતિબંધ મુક્યો છે.
રાજસ્થાનમાં રિક્ષા અને કૅબ સેવાઓ ચાલુ કરાઇ
18મી મે એ જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓ અનુસાર રાજસ્થાન સરકારનાં અશોક ગહેલોટે કેબ અને ટેક્સી સર્વિસિઝ ચાલુ કરવાની છુટ આપી છે અને આ પરવાનગી રેડ ઝોન માટે પણ અપાઇ છે. વળી જાહેર બગીચાઓ 7 વાગ્યાથી સાંજે 6.45 સુધી ખુલ્લા રહી શકશે, પાન, ગુટકા, તમાકુ ઉત્પાદનોનાં વેચાણની પણ છૂટ અપાઇ છે અને ગૃહ વિભાગે ચોખટવ કરી છે કે કોઇપણ વ્યક્તિ આ ચીજોનો ઉપયોગ જાહેરમાં નહીં કરી શકે અને જાહેરમાં થુંકનારને ચોક્કસ સજા થશે.
બીજા દિવસે પણ કેન્સલ થઇ રહી છે ફ્લાઇટ
ભારતમાં ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થઇ ગઇ છે છતાં પણ મુસાફરોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે કારણકે ફ્લાઇટ્સ કેન્સલ થઇ જાય છે અને એરપોર્ટ પરથી મુસાફરોને પાછા ફરવું પડે છે.મંગળવારે પણ ઘણાં મુસાફરોને એરપોર્ટથી પાછા ઘરે જવું પડ્યું અને આ અંગે લોકોએ સોશ્યલ મીડિયા પર ભારે બળાપો કાઢ્યો છે.