ચારે તરફથી ઘેરાયું કોંગ્રેસ, ગુજરાત સહિતના રાજ્યોમાં સંકટના વાદળ
કોંગ્રેસ પર સંકટના વાદળ
કોંગ્રેસની મુશ્કેલીઓ જાણે ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાર્ટીની કારમી હાર બાદ એક તરફ જ્યાં રાહુલ ગાંધી રાજીનામું આપવાની જીદ પર છે. ત્યાં જ કર્ણાટકમાં ભાજપના નેતાઓના દાવા અને ધારસભ્યોના તેવરને જોતા કોંગ્રેસ-જેડીએસ સરકાર પર ખતરો છે. મધ્ય પ્રદેશમાં પણ કમલનાથની ખુરશીને લઈને અટકળો તેજ છે. રાજસ્થાનમાં અશોક ગેહલોકની ખુરશી પર પણ સંકટ છે. એટલું જ નહીં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવવાની ચર્ચાઓ પણ જોર પકડવા લાગી છે.
અધ્યક્ષ પદ છોડવાની જીદ પર રાહુલ
ચૂંટણીમાં હાર મળ્યા બાદ કોંગ્રેસ તમામ મોરચે મુશ્કેલીમાં જણાઈ રહ્યું છે. પાર્ટીના નેતાઓના આગ્રહ છતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના ઈરાદાઓ બદલવા તૈયાર નથી. રાહુલે કોંગ્રેસના નેતાઓને ફરી એકવાર સાફ સંદેશ આપ્યો છે કે પાર્ટીએ નવા અધ્યક્ષની શોધ શરૂ કરી દેવી જોઈએ. તેમણે એવો પણ આગ્રહ કર્યો છે કે આ પદ માટે ગાંધી પરિવાર સિવાય કોઈ બીજા ચહેરાને સ્થાન મળવું જોઈએ. આવા રીતે તેમણે પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાની પહેલ પર પહેલા જ બ્રેક લગાવી દીધી છે.
કમલનાથ પાસેથી છીનવાઈ શકે છે કોંગ્રેસ અધ્યક્ષનું પદ
રાહુલ ગાંધીએ કોંગ્રેસની કાર્યકારિણી બેઠકમાં પરોક્ષ રીતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને પી. ચિદંબરમની ભૂમિકા પર પરોક્ષ રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને રોષ પણ જતાવ્યો હતો. કોંગ્રેસની કાર્યકારિણીમાં તેમણે કહ્યું હતું કે કેટલાક નેતાઓએ પાર્ટી કરતા પરિવાર પર વધારે ધ્યાન આપ્યું છે. કમલનાથ પાસેથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છીનવાઈ શકે છે. સૂત્રના પ્રમાણે નવા પીસીસી ચીફ માટે જ્યોતિરાદિત્ય સિંધિયાથી લઈને અજય સિંહ, રામનિવાસ રાવત, જીતૂ પટવારીના નામની ચર્ચા છે.
રાજસ્થાનમાં સીએમ વિરોધી જૂથ સક્રિય
રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવને ટિકિટ અપાવવા માટે જીદ કરવા અને અન્ય ક્ષેત્રોમાં ધ્યાન ન આપવાના આરોપો સાથે મુખ્યમંત્રીના વિરોધમાં જૂથ સક્રિય થઈ ગયા છે. એક તરફ રવિવારે મોડી રાત્રે જ્યા મુખ્યમંત્રીના નજીકના કૃષિ મંત્રી લાલચંદ કટારિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસેથી પણ કોઈ સકારાત્મક જવાબ નથી મળી રહ્યો. તમામ 25 બેઠકો હાર્યા બાદ કોંગ્રેસમાં જયપુરથી લઈને દિલ્હી સુધી ચાલતી રહેલી આંતરિક ખેંચતાણ ચાલી રહી છે.
કારમી હાર બાદ પાર્ટીમાં રાજીનામાનો દોર
આ બધા વચ્ચે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. જે બાદ રાજ્યના પ્રદેશ પ્રભારી પણ રાજીનામાની રજૂઆત કરી રહ્યા છે. એટલું જ નહીં અલગ અલગ સૂબાના 13 વરિષ્ઠ નેતાઓએ પોતાનું રાજીનામું મોકલ્યું છે.
આ પણ વાંચોઃ રાજીનામું આપવાની જીદ પર રાહુલ ગાંધી, મનાવવાના પ્રયાસો ચાલુ
ADVERTISEMENT
ગુજરાતથી પણ કોંગ્રેસ માટે સારા સમાચાર નથી
ગુજરાતથી પણ કોંગ્રેસ માટે સારા સમાચાર નથી આવી રહ્યા. કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા ધારાસભ્યો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે કે રાજ્યમાં 15થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે. જો કે, તેમણે ભાજપમાં સામેલ થવાના અહેવાલોને ફગાવી દીધા છે.