‘મહા’ વાવાઝોડા વચ્ચે હવે ‘બુલબુલ’ નો ખતરો, જાણો ક્યા રાજ્યને છે ખતરો
(જી.એન.એસ.) ભારતમાં એક વર્ષમાં ત્રાટકેલા વાવાઝોડાંની સંખ્યાનો રેકૉર્ડ આ વર્ષે તૂટશે તેમ હવામાનની આગાહી કરતી જાણીતી સંસ્થા સ્કાયમેટનું કહેવું છે. આ વર્ષે સાત વાવાઝોડાં આવવાથી ૩૩ વર્ષનો રેકૉર્ડ તૂટી ગયો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવી રહેલું બુલબુલ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં ૯ નવેમ્બર સુધી ત્રાટકે તેવી શક્યતા છે. સ્કાયમેટે કહ્યું- ૨૦૧૯માં આ સાતમું વાવાઝોડું છે જે ભારતને અસર કરશે. ૨૦૧૮માં પણ સાત સાઇક્લોન નોંધાયા હતા. ૨૦૧૯માં આ આંકડો આંટી જવાની શક્યતા છે.
બુલબુલના કારણે નવેમ્બર ૯થી ૧૨ તારીખ વચ્ચે આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. સ્કાયમેટ પ્રમાણે ઉત્તરી આંદામાન પાસેના સમુદ્રમાં હળવું દબાણ સર્જાયું છે. ૫થી ૬ નવેમ્બર સુધીમાં આ ડિપ્રેશન બંગાળની ખાડીમાં ઉદ્ભવશે. ત્યારબાદ તે વાવાઝોડું બનીને આગળ વધે તેવી સંભાવના છે. આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.
આ પણ જુઓ : વાયુ વાવાઝોડાની હજી પણ વર્તાઈ રહી છે અસર, ફોટોઝમાં જુઓ ભયાવહ સ્થિતિ
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે છેલ્લે ૧૯૮૫માં સાત વાવાઝોડા આવ્યા હતા. તેમાં બે વાવાઝોડાં, એક તીવ્ર વાવાઝોડું, ત્રણ અત્યંત તીવ્ર વાવાઝોડાં અને એક અતિભારે વાવાઝોડું હતું. આ વર્ષે જુલાઈમાં તેનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.