મુંબઈ:રાષ્ટ્રદ્રોહની આરોપી વિદ્યાર્થિનીને ધરપકડ સામે હાઈ કોર્ટનું રક્ષણ
બૉમ્બે હાઈકોર્ટ
દિલ્હીમાં રાષ્ટ્રદ્રોહના આરોપસર પકડાયેલા જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી શરજીલ ઇમામની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવા બદલ રાષ્ટ્રદ્રોહના આરોપનો સામનો કરતી મુંબઈની વિદ્યાર્થિની ઉર્વશી ચુડાવાલાને મુંબઈ વડી અદાલતે ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે. આઝાદ મેદાનમાં સજાતીય સમુદાયના મેળાવડા દરમ્યાન તાતા ઇન્સ્ટિટ્યુટ ઑફ સોશ્યલ સાયન્સિસ(ટીઆઇએસએસ)ની વિદ્યાર્થિની ઉર્વશી ચુડાવાલાએ શરજીલ ઇમામની તરફેણમાં ‘શરજીલ તેરે સપનોંકો હમ મંઝિલ તક પહુંચાયેંગે’ સૂત્રોચ્ચાર કર્યો હતો.
ADVERTISEMENT
ઉર્વશી ચુડાવાલા
ઉર્વશીની આગોતરા જામીન માટેની અરજીની સુનાવણીમાં હાઈ કોર્ટના જસ્ટિસ એસ. કે. શિંદેએ ધરપકડની સ્થિતિમાં ૨૦,૦૦૦ રૂપિયાના પર્સનલ બૉન્ડ પર છોડવાની અનુમતી આપી હતી. કોર્ટે આગોતરા જામીન માટેની અરજીની સુનાવણી ૨૪ ફેબ્રુઆરી પર મોકૂફ રાખી હતી.
આ પણ વાંચો : ઘાટકોપર-માનખુર્દ લિન્ક રોડ ફ્લાયઓવરનો ખર્ચ વધીને 714 કરોડ થયો
કોર્ટે ઉર્વશીને આજે અને આવતી કાલે (૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ) સવારે ત્રણ-ત્રણ કલાક માટે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રદ્રોહનો કેસ આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.