બીજેપીએ ઈડી પાછળ લગાવી, અમે સીડી ચલાવીશું
બીજેપીએ ઈડી પાછળ લગાવી, અમે સીડી ચલાવીશું
મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) લાંબા સમયથી જેની ખૂબ ચર્ચા થઈ રહી હતી એ ગઈ કાલે પૂરી થઈ હતી. બીજેપીના વરિષ્ઠ નેતા એકનાથ ખડસેએ ગઈ કાલે એનસીપીના ચીફ શરદ પવારની હાજરીમાં મુંબઈમાં ઘડિયાળ બાંધી હતી. પક્ષ પ્રવેશ બાદ એકનાથ ખડસેએ કહ્યું હતું કે બીજેપીએ મારી પાછળ ઈડી લગાવી હતી તો અમે સીડી ચલાવીશું.
એકનાથ ખડસેએ આ સમયે એમ પણ કહ્યું હતું કે સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ તેમની સામે છેડછાડની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ પર પોતાની સામે ફરિયાદ નોંધી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે ફડણવીસ સ્વીકારી ચૂક્યા છે કે તેમણે અંજલિ દમણિયાના આરોપના આધારે પોલીસને એફઆઇઆર નોંધવાનું કહ્યું હતું. હું એ સમયે મુંબઈમાં નહોતો એમ છતાં મારી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ચાર દશકના બીજેપીના સમયમાં મેં આટલી ખરાબ રાજનીતિ નથી જોઈ.
એકનાથ ખડસેએ અંતમાં કહ્યું હતું કે ૨૦૧૪માં થયેલી વિધાનસભાની ચૂંટણી પહેલાં હું વિરોધી પક્ષ નેતા હતો. બીજેપીએ એ સમયે ૧૨૩ બેઠક મેળવી હતી, પરંતુ ૨૦૧૯માં જુઓ શું થયું? તમામ સંસાધનો હોવા છતાં બીજેપી ફડણવીસની આગેવાનીમાં ૧૦૫ બેઠક જ મેળવી શકી.