બારામૂલા કાશ્મીરનો પહેલો આતંકીરહિત જિલ્લો, પોલીસે કર્યો દાવો
ફાઇલ ફોટો
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં મોટી સફળતા મળી છે. પોલીસે ગુરૂવારે દાવો કર્યો કે બારામૂલામાં હવે કોઈ આતંકી નથી બચ્યો. અહીંયા એક દિવસ પહેલા બુધવારે જ લશ્કરના ત્રણ આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા. રાજ્યમાં 2017થી સુરક્ષાદળો તરફથી ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટ પછી આ પહેલીવાર છે કે કોઈ જિલ્લાને આતંકવાદ મુક્ત જાહેર કરવામાં આવ્યો હોય.
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે બારામૂલામં હવે એકપણ આતંકી જીવતો નથી બચ્યો. આ માટે અમે સ્થાનિક લોકોનો આભાર માનવા માંગીએ છીએ કારણકે તેમના સહયોગ વગર આવો માહોલ તૈયાર કરી શકવો શક્ય ન હતો. જમ્મુ-કાશ્મીરના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ દિલબાગ સિંહે પણ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે કાશ્મીરને શાંતિની જરૂર છે, જેથી અહીંયા સારું ભવિષ્ય બનાવવામાં લોકો પોતાનું યોગદાન આપી શકે.
ADVERTISEMENT
બુધવારે સુરક્ષાદળોને શહેરથી થોડેક દૂર બિન્નેર વિસ્તારમાં લશ્કરના ત્રણ આતંકીઓના છુપાયેલા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ત્રણેયને અથડામણ દરમિયાન ઠાર મારવામાં આવ્યા હતા. ત્રણેયની ઓળખ સુહૈબ ફારુખ અખૂન, મોહસિન મુશ્તાક અને નાસિક અહમદ દર્જી તરીકે કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ત્રણેય આતંકીઓ બારામૂલા અને સોપોરમાં ઘણી ઘટનાઓમાં સામેલ હતા. ગયા વર્ષે એપ્રિલમાં આ લોકોએ ત્રણ યુવકોની હત્યા કરી હતી. તેમનો એક સાથી એજાજ અહેમદ ગોજરી પહેલા જ પકડાઈ ચૂક્યો છે. છેલ્લા 4 વર્ષોમાં સુરક્ષાદળોએ 2018માં સૌથી વધુ 257 આતંકીઓ ઠાર માર્યા હતા. એજન્સીના જણાવ્યા પ્રમાણે, સુરક્ષાદળોએ 2017માં 213, 2016માં 150 અને 2015માં 108 આતંકીઓ ઠાર માર્યા હતા. 2018માં સેનાએ 142 આતંકીઓને 31 ઓગસ્ટ સુધીમાં જ ઠાર માર્યા હતા. ઓગસ્ટ-2018માં સૌથી વધુ 25 આતંકીઓ મારવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: શહીદ લાન્સ લાયક વાણીને મળશે અશોકચક્ર, આતંકવાદ છોડી સેનામાં થયા'તા સામેલ
ન્યુઝ એજન્સીએ એક અધિકારીનો હવાલો આપીને જણાવ્યું કે ઘાટીમાં હજુ પણ 300થી વધુ આતંકીઓ સક્રિય છે. તેમની હરકતો સૌથી વધુ દક્ષિણ કાશ્મીરમાં જોવામાં આવી છે. સોશિયલ મીડિયા દ્વારા આ યુવાઓને પોતાની સાથે જોડવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે. અધિકારીનું કહેવું છે કે AK-47 આતંકીઓનું સૌથી મનપસંદ હથિયાર છે.