જો લોહી જામવાની આ સિસ્ટમમાં ખોટ આવે તો? તો વહેતું લોહી બંધ જ ન થાય અને એને કારણે માણસનો જીવ જોખમમાં મુકાય. આ પરિસ્થિતિ કે રોગને હીમોફિલિયા કહે છે.
પ્રતીકાત્મક તસવીર
જ્યારે કોઈ પણ વ્યક્તિ પડે કે તેને કોઈ ઘાવ થાય ત્યારે શરીરમાંથી લોહી વહેવા માંડે છે. આ વહેતા લોહીને રોકવામાં ન આવે તો ઘણી મુશ્કેલી ઊભી થઈ જાય છે. આ લોહીને રોકવા માટે શરીર પાસે એક સિસ્ટમ છે જેને કારણે થોડું લોહી વહેવાનું શરૂ થાય કે તરત તે પોતાની મેળે જામી જાય છે અને વહેવાનું બંધ થઈ જાય છે. દેખાવમાં સહજ લાગતી આ પ્રક્રિયા ખૂબ જ આવશ્યક પ્રક્રિયા છે. જો લોહી જામવાની આ સિસ્ટમમાં ખોટ આવે તો? તો વહેતું લોહી બંધ જ ન થાય અને એને કારણે માણસનો જીવ જોખમમાં મુકાય. આ પરિસ્થિતિ કે રોગને હીમોફિલિયા કહે છે.
મહત્ત્વની વાત એ છે કે જ્યારે લોહી વહે ત્યારે એ ક્ષણે જ અને શરીરના ફક્ત એ ભાગમાં જ લોહી જામવાની પ્રક્રિયા શરૂ થઈ જાય. આમ શરીરમાં નિષ્ક્રિય પડેલા અમુક ઘટક જેવું લોહી વહેવા લાગે કે તરત સક્રિય થઈ જાય છે. એ સક્રિય થતા ઘટક અમુક પ્રકારના પ્રોટીન છે જેને ક્લૉટિંગ ફૅક્ટર કહે છે જે બે પ્રકારના છે ફૅક્ટર ૮ અને ફૅક્ટર ૯. આ ફૅક્ટર્સ પ્લેટલેટ્સ એટલે કે લોહીના અમુક પ્રકારના કણો સાથે મળીને લોહીને જામવા માટે મદદ કરે છે. શરીરમાં આ ફૅક્ટર્સની કમી એટલે જ હીમોફિલિયા. હીમોફિલિયાના બે પ્રકાર છે, એક તો હીમોફિલિયા A અને બીજો હીમોફિલિયા B.
ADVERTISEMENT
આ રોગ વંશાનુગત છે. એટલે કે માતા કે પિતાને હોય તો બાળકને હોઈ શકે છે. આ ઉપરાંત ઘણી વાર માતા-પિતાને ન હોય, પરંતુ કુટુંબમાં કોઈને પણ આ રોગ હોય તો પણ એ ફરીથી કોઈ બાળકમાં આવી શકે છે. જોકે કમનસીબે પરિવાર કે માતા-પિતા બન્નેને આ રોગ ન હોય તો પણ ક્યારેક કોઈ બાળક આ રોગ સાથે જન્મી શકે છે. બાળક જન્મે ત્યારે તે નૉર્મલ હેલ્ધી બાળક હોય છે. જેમ-જેમ તે મોટું થતું જાય અને ક્યારેક પડી જાય, કંઈક વાગી જાય ત્યારે લોહી બંધ ન થાય ત્યારે ટેસ્ટ દ્વારા ખબર પડે છે કે આ બાળકને હીમોફિલિયા છે. જોકે હવે ઍડ્વાન્સ ટેસ્ટ પણ આવી ગઈ છે
જેના દ્વારા ગર્ભમાં જ ખબર પડી શકે છે કે બાળકને આ પ્રકારની કોઈ ખામી છે કે નહીં. ખાસ કરીને જેના કુટુંબમાં કોઈને આ પ્રૉબ્લેમ હોય અથવા પિતાને આ પ્રૉબ્લેમ હોય કે માતા એની વાહક હોય તો બાળક કરતાં પહેલાં પણ અમુક જરૂરી ટેસ્ટ કરાવી અમુક સ્પેશ્યલ ટ્રીટમેન્ટ વડે નૉર્મલ બાળક પેદા કરી શકાય છે. આમ જો તમારા ઘરમાં કે પરિવારમાં કોઈને આ રોગ હોય તો ફૅમિલી-પ્લાનિંગ પહેલાં નિષ્ણાતને ચોક્કસ મળવું.
-ડૉ. મુકેશ દેસાઈ


