આપણે અગાઉ એમ માનતા કે દારૂ-સિગારેટ પીવાથી કે એક્સરસાઇઝ ન કરવાથી એની ખરાબ અસર બુઢાપામાં એટલે કે ૫૦-૬૦ વર્ષની ઉંમરે થાય છે, પણ આ ખોટી ધારણાને તોડતા એક રિસર્ચમાં એવું કહેવાયું છે કે એની અસર ૩૬ વર્ષની ઉંમરથી જ દેખાવાની શરૂ થઈ જાય છે
પ્રતીકાત્મક તસવીર
યંગ એજમાં દોસ્તો સાથે બે-ત્રણ પેગ દારૂના મારી લીધા હોય તો કંઈ વાંધો ન આવે. મને કદી દારૂ એટલો ચડતો નથી.
સ્ટ્રેસફુલ લાઇફ એટલી છે કે ચા પીધા પછી કે જમ્યા પછી સિગારેટનો કશ ખેંચ્યો ન હોય તો ચાલતું જ નથી. હું તો કૉલેજમાં હતો ત્યારથી સિગારેટ પીઉં છું, પણ મને તો કદી ખાંસી સુધ્ધાં નથી થઈ.
ADVERTISEMENT
જૉબ જ એવી છે કે રોજના દસ કલાક ટેબલ-ખુરશી પર બેસવાનું હોય છે અને પછી ટ્રાવેલિંગનો સમય જાય એટલે કસરત કરવાનો સમય જ નથી મળતો. હું તો એક્સરસાઇઝ નથી કરતો તોય વજન ખાસ વધતું નથી.
મોટા ભાગે શરીર જ્યારે જુવાન હોય ત્યારે ખરાબ જીવનશૈલીને કારણે થતી આડઅસરો બહુ વર્તાતી નથી. એને કારણે યુવાનીમાં આ આદતો કોઈ છોડવાનું કહે તો એટલું સમજાતું નથી. અનેક અભ્યાસો અને સંશોધનો કહે છે કે સ્મોકિંગથી ઓરલ અને લંગ્સનું કૅન્સર થાય છે અને દારૂ પીવાથી લિવર બગડે છે. સાવ બેઠાડુ જિંદગી જીવવાથી બુઢાપો જલદી આવે છે અને શરીરમાં વૃદ્ધત્વનાં લક્ષણો આવી જાય છે. આવી અનેક ચેતવણીઓ છતાં લોકો આ ચેતવણીને ગંભીરતાથી નથી લેતા. આની પાછળ બે કારણો હોઈ શકે. કાં તો લોકો એવું માને છે કે બે-ચાર વર્ષથી તેઓ આવી ખરાબ જીવનશૈલી ધરાવે છે, પણ હજી કંઈ થયું નથી તો હવે કંઈ થશે પણ નહીં. ધારો કે બુઢાપામાં થશે તો જોયું જશે.
આ છે કટઑફ ઉંમર
ખરાબ જીવનશૈલી અને વ્યસન વિશેના આ વલણને ધરમૂળથી બદલી નાખે એવો એક અભ્યાસ તાજેતરમાં થયો છે. આ સર્વેક્ષણમાં એવો ખુલાસો થયો છે કે અનહેલ્ધી હૅબિટ્સની આડઅસરો ૩૬ વર્ષની ઉંમરથી દેખાવાની શરૂ થઈ જાય છે. વાવો એવું લણો અને કરો એવું પામો, આ કહેવત આપણા સ્વાસ્થ્ય માટે પણ એટલી જ બંધ બેસે છે. યુવાનીના શરૂઆતના સમયગાળામાં જો તમે હેલ્ધી લાઇફસ્ટાઇલ પર ધ્યાન ન આપો તો ફિનલૅન્ડના રિસર્ચરોએ કરેલા સર્વેક્ષણ અનુસાર અનહેલ્ધી હૅબિટની અસર સ્વાસ્થ્ય પર ૩૬ વર્ષની ઉંમરથી દેખાવાનું શરૂ થઈ જાય છે.
અભ્યાસમાં શું થયું?
ફિનલૅન્ડની યુનિવર્સિટી ઑફ જ્યવૉસ્કિલા દ્વારા કરવામાં આવેલા આ સ્ટડી માટે ફિનલૅન્ડના એક શહેરના આશરે ૩૭૦ રહેવાસીનો ૩૦થી વધુ વર્ષ સુધીનો ટ્રૅક રાખવામાં આવ્યો હતો. ૨૭, ૩૬, ૪૨, ૫૦ અને ૬૧ વર્ષની ઉંમરમાં સર્વેક્ષણ અને મેડિકલ ટેસ્ટના માધ્યમથી તેમનો ડેટા લેવામાં આવ્યો હતો. એ લોકોમાં જોવા મળ્યું હતું કે જે લોકો દરરોજ દારૂ પીએ છે, સિગરેટ પીએ છે અને એક્સરસાઇઝ કરતા નથી તેમનું ૩૬ વર્ષની ઉંમર સુધીમાં તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બગડવા લાગ્યું હતું અને સમય સાથે એ વધુ ખરાબ થતું ગયું. આ સ્ટડી કરનારા સાયન્ટિસ્ટનું કહેવું છે કે ફિઝિકલ ઍક્ટિવિટી વગરની સુસ્ત જીવનશૈલી વિવિધ પ્રકારની શારીરિક સમસ્યા જન્માવે છે. એવી જ રીતે ધ્રૂમપાનની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. દારૂનું સેવન તો શરીર અને દિમાગ બન્ને પર ખરાબ અસર કરે છે. આ અનહેલ્ધી હૅબિટની ખરાબ અસર ૩૬થી ૬૦ વર્ષની ઉંમર વચ્ચે એક જેવી જ છે, એમાં વધુ ફરક નથી. એટલે સમય રહેતાં આ ખરાબ આદતો છોડી દેવી જોઈએ જેથી શરીરને વધુ નુકસાન થતું બચે. બીજી બાજુ હેલ્ધી લાઇફસ્ટાઇલનું અનુસરણ કરીને આપણે હૃદય સંબંધિત બીમારી, કૅન્સરનું જોખમ તો ઘટાડી જ શકીએ છીએ પણ સાથે વહેલા મૃત્યુનું જોખમ પણ ઘટાડી શકીએ છીએ.
શા માટે ૩૬ વર્ષ જ?
આપણું શરીર કુદરતી રીતે જ હીલિંગ પ્રોસેસ શરૂ કરી દે છે. ક્યાંક પણ કોઈ ગરબડ હોય તો એ બને ત્યાં સુધી આપમેળે સુધારવા મથે છે. જ્યારે શરીર એક વય વટાવી દે એ પછી એ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. એને કારણે ખરાબ જીવનશૈલીની આડઅસર વર્તાવાનું શરૂ થઈ જાય છે. આ વિશે સમજાવતાં જનરલ ફિઝિશ્યન ડૉ. એકતા ગાલા કહે છે, ‘સામાન્ય રીતે ૩૦ વર્ષની ઉંમર પછી શરીર ધીમું પડતું જાય છે. આપણા શરીરના અવયવોની કામ કરવાની ક્ષમતા ઘટવાનું શરૂ થઈ જાય છે. રિપેર અને રિકવર થવાની શરીરની જે કુદરતી ક્ષમતા છે એ ઘટતી જાય છે. એટલે પછી આપણી જે અનહેલ્ધી હૅબિટ્સ હોય એની અસર દેખાવાનું શરૂ થઈ જાય છે. ઉંમર સાથે શરીરમાં બોન-માસ ઓછું થતું જાય છે, પરિણામે હાડકાંઓ નબળાં પડતાં જાય છે. માંસપેશીઓ કમજોર થવા લાગે છે. એવામાં જો તમે યુવાવસ્થામાં જ એક્સરસાઇઝ પર એટલું ધ્યાન ન આપ્યું હોય તો ૩૦-૩૫ વર્ષ પછી માંસપેશીઓ અને હાડકાંઓ ઝડપથી નબળાં પડવા લાગે. એક્સરસાઇઝથી વજન નિયંત્રણમાં રહે, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રૂવ થાય એટલે ડાયાબિટીઝનું જોખમ પણ ઘટી જાય. એક્સરસાઇઝથી આપણા હાર્ટની હેલ્થ પણ સારી રહે. એટલે એક રીતે એ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્યને સારું રાખવાનું કામ કરે. જો યુવાવસ્થાથી જ એક્સરસાઇઝનું ધ્યાન રાખવામાં ન આવે તો પછી વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ શરૂ થઈ જાય છે. એવી જ રીતે આલ્કોહોલ પણ યંગસ્ટર્સ ટૉલરેટ કરી શકે એટલું ૩૫ વર્ષથી વધુની ઉંમરના લોકો કરી શકતા નથી.’
ચયાપચયની ક્ષમતા ઘટે એ મુખ્ય કારણ
ત્રીસ-પાંત્રીસ વર્ષની વય દરમ્યાન શરીર હજી ગ્રોઇંગ સ્ટેજમાં હોય છે. એને કારણે શરીરનું મેટાબોલિઝમ પણ તેજ હોય છે. મેટાબોલિઝમ એટલે કે ખોરાકનું એનર્જીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા ત્રીસ વર્ષ પછી ધીમી પડી જાય છે એને કારણે એ પછીનાં થોડાં જ વર્ષોમાં આડઅસર દેખાવાનું શરૂ થાય છે એમ સમજાવતાં ડૉ. એકતા ગાલા કહે છે, ‘વધતી ઉંમર સાથે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે એટલે બેઠાડુ જીવન દરમ્યાન શરીરમાં લિવરમાં ચરબીનો ભરાવો થાય છે. ચરબીના ભરાવાને કારણે આલ્કોહોલને પ્રોસેસ કરવામાં લિવરને વાર લાગે છે. એમાં પણ જો યુવાવસ્થાથી જ નિયમિત રીતે દારૂનું સેવન કરવાની આદત હોય તો લિવરની કામ કરવાની ક્ષમતા આ સમય પછી વધુ ઝડપથી ઘટતી જાય છે. સ્મોકિંગનું પણ એવું જ છે. જે વ્યક્તિ યુવાવસ્થાથી સ્મોકિંગ કરતી હોય તેનાં ફેફસાં, હૃદયની કામ કરવાની ક્ષમતા ૩૫ વર્ષ સુધી પહોંચતાં ઘટી જાય. આલ્કોહોલ, સ્મોકિંગ જેવી આદત માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારી નથી. ઘણા લોકો સ્ટ્રેસને દૂર કરવા માટે એનું સેવન કરીને રિલીફ મેળવતા હોય છે, પણ આ એક ટેમ્પરરી વસ્તુ છે. સિગારેટ, દારૂ આપણી સ્લીપ પૅટર્નને ડિસ્ટર્બ કરી શકે છે, આપણી યાદશક્તિ પર એની અસર પડે છે તેમ જ ઍન્ગ્ઝાયટી, ડિપ્રેશનમાં ધકેલી શકે છે. એવામાં જો પહેલેથી જ પૌષ્ટિક ખોરાક, એક્સરસાઇઝ કરવાનું તેમ જ સ્મોકિંગ, આલ્કોહોલનું સેવન ટાળ્યું હોય તો અવયવોની કામ કરવાની ક્ષમતા એટલી પ્રભાવિત થતી નથી.’
૩૬ પહેલાં જાગો તો હજી બચી શકાય
ફિનલૅન્ડના રિસર્ચરોએ કરેલા આ અભ્યાસ પરથી એક બીજો નિષ્કર્ષ પણ નીકળે છે એ છે શરીર બૂમો પાડે અને ડૅમેજનાં લક્ષણો દેખાડે એ પહેલાં જાગી જગીએ તો હજીયે બચી શકાય એમ છે. નાની ઉંમરે તાવ આવ્યો હોય તો દરદી જલદી એમાંથી રિકવર થઈ જાય છે. ૪૦-૪૫ વર્ષે તાવ પછી નબળાઈ વધુ લાગે છે અને ૬૦-૭૦ વર્ષની વયે જરાક અમથો તાવ પણ શરીર માટે ભારે પડે છે. આ બાબતથી એ સમજી શકાય કે શરીર જ્યાં સુધી રિપેરિંગ કરવાની કુદરતી ક્ષમતા ધરાવતું હોય ત્યારે જ જો સ્મોકિંગ, આલ્કોહોલ, બેઠાડુ જીવન, અનિદ્રા, જન્ક ફૂડ જેવી ખરાબ આદતો છોડી દેવામાં આવે એ જરૂરી છે. ૩૬ વર્ષ પછી એક વાર ડૅમેજ શરૂ થઈ જાય એ પછી હેલ્થની ગાર્ડીને રિવર્સ કરવી અઘરી છે.

