આજે જાણીએ છોડને કારણે આવતા મચ્છરો પર પ્રતિબંધ વિશે અને આવા મચ્છર પ્રતિરોધક છોડ વિશે
ઓડોમોસ પ્લાન્ટ (ડાબે), સિટ્રોનેલા પ્લાન્ટ (વચ્ચે), જસ્ટિસિયા જેન્ડરસા પ્લાન્ટ (જમણે)
મુંબઈમાં ચોમાસું જામ્યું છે અને ભરચોમાસે ફૂલછોડના લીલા થઈને લહેરાવાના દિવસો આવ્યા છે ત્યારે આપણા ઘરઆંગણે અને કિચન ગાર્ડનમાં જો એવા છોડ હોય જે મચ્છરોથી આપણું રક્ષણ કરે તો? યસ, એવા છોડ હોય છે. આજે જાણીએ છોડને કારણે આવતા મચ્છરો પર પ્રતિબંધ વિશે અને આવા મચ્છર પ્રતિરોધક છોડ વિશે
ઘરઆંગણે બગીચો હોય, ઘરની અંદર હરિયાળા ફૂલછોડોનો વાસ હોય અને સુગંધી ફૂલો ઘરમાં ખુશ્બૂ વહેર્યાં કરે એવું તો કોને ન ગમે! દરેક ઘરમાં યથાશક્તિ અને સગવડ મુજબ એકાદ છોડ તો હોય જ છે. જેમની પાસે ગમવા છતાં નથી હોતા તેમની પાસે ન રાખવાનાં ચોક્કસ કારણો હોય છે. આવાં કેટલાંક કારણોમાં કોઈ પાસે ધ્યાન ન રાખી શકવાની સૌથી સામાન્ય ફરિયાદ હોય તો કોઈક વળી કહે કે છોડ ઘરમાં રાખીએ તો એનાથી આકર્ષાઈને મચ્છરો અને જીવાતો આવે છે. ખાસ કરીને ચોમાસું, જે મુંબઈની પ્રમુખ ઋતુ છે, એમાં તો મચ્છરો બહુ જ હેરાન કરે છે. તો ચાલો, આજે એવા ફરિયાદીઓની ફરિયાદને ન્યાય આપીએ.
ADVERTISEMENT
છેલ્લા એક દાયકાથી તો સૂક્ષ્મ જીવોથી થતા રોગોમાં પણ બહુ જ વધારો થયો છે ત્યારે ઘરમાં છોડ રાખતાં જ સહુ બીએ છે પણ જો આ માટે રાખવી પડતી તકેદારીઓનું જ્ઞાન હોય તો આ બીક ભગાડી પણ શકાય છે. મૂળ તો છોડને આ ઋતુમાં કેમ રાખવા એ જ જાણવાનું છે અને બાકી અમુક એવા છોડ લાવવાના છે જે ઍન્ટિ-મૉસ્કિટોનું કામ કરતા હોય. આવું જણાવતાં દહિસરના લૅન્ડસ્કેપ ડિઝાઇનર મનોજ મહેતા કહે છે, ‘આમ તો ભારતીય મૂળના છોડ તો લગભગ મચ્છરોને આકર્ષતા નથી. મૂળ તો એને રાખવામાં આપણી કશીક ચૂક થાય ત્યારે આવું થાય છે. હા, ભારપૂર્વક કહેવું હોય તો તમારા આંગણામાં કે એની આસપાસ પણ ક્યાંય જસ્ટીસિયા પ્લાન્ટને જગ્યા ન આપશો. આ પ્લાન્ટ મચ્છરનું ઘર છે. એને ઠંડકવાળા પ્રદેશથી લાવવામાં આવ્યો છે એટલે એનું સર્વાઇવલ ઘણું હાર્ડ હોય છે. ત્યાં બરફવર્ષામાં બધા છોડ જ્યારે દબાઈ જાય છે એવા સમયે આ છોડ દબાવા છતાંય પાછો ઊગી શકે છે. એના આવા અનુકૂલનને લીધે અહીં મચ્છરો માટે આ છોડ સારું રહેઠાણ પુરવાર થાય છે.’
આ ત્રણ વાતો ધ્યાનમાં રાખો
છોડને મચ્છરોથી બચાવવા એની કાળજી રાખતી વખતે અમુક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આવું જણાવતાં મનોજ મહેતા કહે છે, ‘ઘરમાં મોટા ભાગે કોઈ ભીનો વેસ્ટ વાપરીને છોડમાં એનો ઉપયોગ કરવામાં આવતો હોય જેમ કે શાકભાજી કે ફળ વગેરેની છાલનું પાણી વપરાતું હોય કે ચાની ભૂકી કે ઈંડાની છાલ જેવો કોઈ ભીનો કચરો લોકો સીધા જ પ્લાન્ટ્સમાં નાખતા હોય છે. આવી વસ્તુ સારું ખાતર પુરવાર થાય છે, પણ પછીથી ભીનું હોવાને લીધે એમાં નાનકડાં જીવડાં કે નાની મછરી આવવા લાગે છે. આવું ન થાય એ માટે એ બધો જ કચરો શક્ય હોય તો સૂકવી નાખવો. ઘરમાં પંખા નીચે કે કોઈ સૂકી જગ્યાએ પૂરેપૂરું સૂકવવું. બીજું, કોઈ પણ છોડને ક્યાંયથી નુકસાન થયું હોય અને એ ભાગ કરમાઈ ગયો હોય તો એના એ ભાગનો કે પાંદડાંનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. અને ત્રીજું, ચોમાસા પૂરતું કૂંડાંની નીચે જે ઍક્સેસ વૉટર પ્લેટ રાખવામાં આવે છે એને સમૂળગી કાઢી જ નાખો. ઘણા લોકો એને કાઢીને બાજુમાં જ ટેકવી દે છે. પછી એના નીચે મચ્છર થાય છે. આ પ્લેટનું પાણી જો વારંવાર ખાલી કરવાનું યાદ ન આવે તો એ પ્લેટને થોડો સમય કોઈ સૂકી જગ્યાએ ઊભી કરી દો.’
મચ્છર સામે રક્ષણ આપતા છોડ
ચોમાસામાં ઘરની આસપાસ પણ પાણીનાં ખાબોચિયાં ભરાઈ જતાં હોય છે. રસોડામાં ઘણી વાર વાસણ માંજ્યા વગરનાં હોય અથવા પાણી ભરાયેલું હોય છે એટલે કિચન સિન્ક ઉપરાંત કિચનમાં રહેલા છોડ પર પણઝીણી-ઝીણી મછરી મંડરાય છે. ઘણા છોડ એવા હોય છે જેમાં એવા ઔષધીય ગુણ રહેલા હોય છે કે એની ગંધથી જ મચ્છર ભાગી જાય છે. આવા કેટલાક છોડ વિશે વાત કરતાં મનોજ મહેતા કહે છે, ‘કિચન ગાર્ડનમાં જો લેમન ગ્રાસ એટલે કે સિટ્રોનેલા અને ગ્રીન ટી જેવા છોડ વાવવામાં આવે તો મચ્છર નથી આવતા. આ બંને છોડ દેખાવમાં એક જેવા જ લાગે છે. રંગ અને દેખાવ બંને સરખા લાગે, પણ હકીકતમાં તો લીલી ચા કે ગ્રીન ટી અને લેમન ગ્રાસ કે સિટ્રોનેલા અલગ જ છોડ છે. સિટ્રોનેલાને બે હાથમાં લઈને જો ઘસવામાં આવે તો એમાંથી બામ જેવી સુવાસ આવે છે. લેમન ગ્રાસની તો લેમન જેવી જ સુવાસ આવે. એ માર્કેટમાં બહુ સરળતાથી ઉપલબ્ધ છે. એને ગ્રાઉન્ડ કવર આપી શકાય અથવા ઘરમાં કૂંડાંમાં આસાનીથી વાવી શકાય છે. સિટ્રોનેલાનાં પાન તો મચ્છર માટે એવી અસર આપે કે અગરબત્તી કે દીવા સાથે એનાં પાનને બાળી દેવામાં આવે તો મચ્છર ન આવે. ઘણા લોકો એનાં પાંદડાંને સુકાવીને પણ વાપરે છે. માર્કેટમાં એનું તેલ પણ મળે છે. ઘરમાં ત્રણથી ચાર મીટરના એરિયામાં આની અસર વર્તાય છે. આ સિવાય ઍન્ટિ-મૉસ્કિટો પ્રોડક્ટ્સમાં પણ એ વપરાય છે.’
સિટ્રોનેલા જેવા જ એક છોડ ઓડોમોસ વિશે વાત કરતાં મનોજભાઈ કહે છે, ‘ઓડોમોસ પણ મચ્છર ભગાડવા જાણીતો છોડ છે. એના નામથી જ મચ્છર પ્રતિરોધક પ્રોડક્ટ્સ આવે છે એનાથી આપણે સૌ અજાણ નથી. આ એક નાની જાતનો છોડ છે. એની હાઇટ એકથી દોઢ ફુટ હોય છે. એનાથી એસેન્શિયલ ઑઇલ પણ બને છે. એનાં પત્તાંનો રસ કાઢી જો રૂમ ફ્રેશનરમાં નાખવામાં આવે તો એની સરસ મજાની સુવાસ આવે છે. આમ પણ એનાં પાંદડાંમાંથી મોહક સુગંધ આવે છે. આ છોડનો બીજો પણ એક ઉપયોગ છે. કબાટમાં બહુ ઓછાં પહેરાતાં હોય એવાં કપડાં વચ્ચે આનાં પાન મૂકવામાં આવે તો જૂનાં કપડાંની વાસ ન બને પણ કપડાંમાં પત્તાંની તાજી સુવાસ જ રહે. આ સિવાય બેડની નીચે આનાં પાન મૂકો તો જીવાતો ન થાય. એનો સ્પ્રે ન થાય તો દીવો કરીએ ત્યારે એક વાસણમાં ગરમ પાણી કરી એમાં ઓડોમોસનાં પાન નાખી એના પર દીવો મૂકી દઈએ તો સરસ અરોમા આવે છે. મચ્છર ભાગે એ અલગ. આની કોઈ આડઅસર નથી. એને પાર્શિયલ સનલાઇટ આપી ઘરમાં જ ઉછેરી શકાય છે. એની માટી પોરસ રાખી શકાય. એના માટે કોકોપીટમાં થોડી રેતી, થોડી લાલ માટી, થોડી પોપ સૉઇલ મિક્સ કરી વાવી શકાય.’
ઘણી વાર લોકો ઘરમાં બ્રૉકલી, મરચાં, દૂધી, તૂરિયા, રીંગણાં વગેરે ઉગાડે છે. આ સિવાય કારેલાંની વેલ પણ ઉગાડવામાં આવે છે. આ વેલની કડવી વાસથી પણ મચ્છર ભાગે છે એવું જણાવતાં મનોજ મહેતા કહે છે, ‘મોટા ભાગે મચ્છર મીઠા પાણીમાં થતા હોય છે. એટલે જ વરસાદમાં થવાની શક્યતા વધી જાય છે. કિચન ગાર્ડનમાં જો પાકેલાં કારેલાંનું બીજ વાવી દેવામાં આવે તો એમાંથી સરસ કારેલાંની વેલ બને છે. એ પણ મચ્છર સામે સારી પડે છે. આવી કોઈ પણ શાકભાજી જો ઘરમાં ઉગાડી હોય અને એની વેલ વધે પણ એનાં ફ્રૂટ ન આવતાં હોય તો એને નિયમિત કાપતાં રહેવું જોઈએ.’

