આજે કોઈ ઋષિ-મુનિઓ કેમ નથી થતા? આવી જિજ્ઞાસા સત્યશોધકને થવી જોઈએ
ચપટી ધર્મ
સ્વામી સચ્ચિદાનંદ
ઘણી વખત રામ અને કૃષ્ણના શબ્દોની બાબતમાં લોકો લડી પડે છે અને કહે છે કે રામાયણમાં શ્રીરામ આમ બોલે છે અને ગીતામાં શ્રીકૃષ્ણ આમ બોલે છે એ શું ખોટું છે, પણ તેમને કોણ સમજાવે કે આ બધા ગ્રંથોમાં રામ કે કૃષ્ણ નથી બોલતા, પણ તેમના માધ્યમથી લેખક બોલે છે અને લેખક પણ પ્રસિદ્ધ રૂપથી જે મનાય છે તે નથી, પણ કોઈ અન્ય જ છે. આવું થવાનું મૂળ કારણ શું છે?
પ્રાચીન સમય, પ્રાચીન સમયના માણસો તથા તેમનું જ્ઞાન અત્યંત દિવ્ય હતું, ત્રુટિ વિનાનું હતું. અત્યારનો સમય તો કલિયુગ છે, હડહડતો પાપી સમય છે, અત્યારના માણસો તો સ્વાર્થી તથા નીચ પ્રકૃતિના છે, તેમનું જ્ઞાન તો મિથ્યા અને ડુબાડનારું છે. વર્તમાન પ્રત્યે સતત ઘોર અણગમો બતાવવો, ભવિષ્ય હજી આનાથી ભયંકર આવવાનું છે એવી નિરાશા બતાવવી અને માત્ર પ્રાચીનતા જ દિવ્ય હતી, ભવ્ય હતી એવું ઠસાવવું એ લગભગ ધાર્મિકતાની સ્થિર થઈ ગયેલી ઘરેડ છે. એટલે વર્તમાન માણસોના કથન પર લોકો એટલો ભરોસો નથી કરતા જેટલો સેંકડો વર્ષ પહેલાં થઈ ગયેલા માણસોના કથન પર કરે છે. ચિંતન આ રીતે ભવિષ્યને જોવા-સમજવા-માપવાનો પ્રયત્ન ન કરતાં માત્ર પ્રાચીનતાની અહોભાવના તથા વર્તમાનની હીનતા જોયા કરે છે.