Raksha Bandhan 2026: આ વર્ષે બળેવ એટલે કે રક્ષાબંધનની ઉજવણીમાં ગ્રહણ કોઈપણ રીતે નડવાનું નથી. પંચાંગ મુજબ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું જ નથી એટલે તેનો સૂતક કાળ પાળવાની પણ કોઈ વાત આવતી નથી.
પ્રતીકાત્મક તસવીર
ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઊજવતો બળેવનો તહેવાર (Raksha Bandhan 2026) હવે ગણતરીના દિવસોમાં જ આવી રહ્યો છે ત્યારે સૌ કોઈને રાખડી બાંધવાના મુહૂર્ત અંગે જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે. કેમકે આ વખતે બળેવના દિવસે જ વરસનું છેલ્લું આંશિક ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. અને જ્યારે જ્યારે કોઈ મોટા તહેવારને દિવસે ગ્રહણની છાયા પડતી હોય છે ત્યારે લોકોને સૂતક કાળ અને પૂજા-વિધિને લઈને ભારે મુંઝવણ થતી હોય છે. અને આ વર્ષે બળેવને દહાડે જ ગ્રહણ હોવાથી દરેક બહેનો પોતાના ભાઈને અયોગ્ય મુહૂર્ત કે સૂતકકાળમાં રાખડી ન બંધાઈ જાય એનું ધ્યાન રાખવા માંગે છે. તો તમને જણાવી દઈએ કે આ વર્ષે બળેવ એટલે કે રક્ષાબંધનની ઉજવણીમાં ગ્રહણ કોઈપણ રીતે નડવાનું નથી. પંચાંગ મુજબ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું જ નથી એટલે તેનો સૂતક કાળ પાળવાની પણ કોઈ વાત આવતી નથી.
ક્યારે ઊજવાશે રક્ષાબંધન?
ADVERTISEMENT
હિન્દુ કેલેન્ડર મુજબ રક્ષાબંધન (Raksha Bandhan 2026)નો તહેવાર શ્રાવણની પૂર્ણિમાના દિવસે ઉજવાતો હોય છે અને આ વર્ષે શ્રાવણની પૂર્ણિમાનો પ્રારંભ ૨૭મી ઓગસ્ટ (ગુરુવાર)ના રોજ સવારે ૯.૦૮ વાગ્યે થઈ જવાનો છે અને તે ૨૮મી ઓગસ્ટ (શુક્રવાર)ના રોજ સવારે ૯.૪૮ વાગ્યા સુધી છે. ઉદયાતિથિના નિયમ અનુસાર આ વર્ષે રક્ષાબંધન ૨૮મી ઓગસ્ટ શુક્રવારના રોજ ઉજવાશે. હવે વાત કરીએ વર્ષના બીજા અને આંશિક ચંદ્રગ્રહણની તો આ ચંદ્રગ્રહણ કુંભ અને શતભિષા નક્ષત્રમાં થશે. ગ્રહણ સવારે ૬.૫૩ કલાકે લાગશે અને તે બપોરે ૧૨.૩૧ વાગ્યા સુધી ચાલશે.
રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત કયું?
કાંડે રાખડી બાંધવા (Raksha Bandhan 2026) માટેનું શુભ મુહૂર્ત સવારે ૫.૫૭ વાગ્યાથી સવારે ૯.૪૮ વાગ્યા સુધી એટલે કે લગભગ ૪ કલાક રહેશે.શ્રાવણ પૂર્ણિમા તિથિ સવારે ૯.૪૮ વાગ્યે પૂર્ણ થતી હોવા છતાં ઉદયાતિથિ હોવાને કારણે દિવસ દરમિયાન રાહુકાળનો સમય છોડીને તમે કોઈપણ સમયે રાખડી બાંધી શકશો.
ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?
આ ચંદ્રગ્રહણ ભારતમાં તો નથી દેખાવાનું પણ તે યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા તેમજ પશ્ચિમ એશિયાના દેશોમાં દેખાશે.
કઈ ત્રણ રાશિઓ માટે ચિંતાજનક સમય
ભલે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને કોઈ સૂતક કાળ પણ લાગવાનું નથી છતાં ગ્રહ-ગોચરના પ્રભાવથી અમુક રાશિના (Raksha Bandhan 2026) જાતકો પર જ્યોતિષીય અસર પડી શકે છે. જેમાં
કર્ક રાશી- કર રાશિના જાતકોએ આ સમયે નવા કામો બની શકે તો શરૂ ન કરવાં. આ લોકોએ મુસાફરી ટાળવી અને પરિવારમાં વાદ-વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.
તુલા રાશિ - તુલા રાશિના જાતકોએ આ દિવસે પોતાના સ્વાસ્થ્ય અંગે બેદરકાર ન રહેવું. નાણાકીય લેવડ-દેવડ કે મોટું રોકાણ વિચાર્યા વગર ન કરવું. વાણી પર સંયમ રાખવો જરૂરી છે.
ધનુ રાશિ- ધનુ રાશિના જાતકોમાં માનસિક તણાવ વધી શકે છે. જૂના વિવાદો ફરી સામે આવી શકે છે. ક્રોધ અને ઉતાવળથી બચીને ધૈર્યપૂર્વક કામ લેવું હિતાવહ રહેશે.
(ખાસ નોંધઃ આ લેખમાં ઉલ્લેખિત ઉપાયો, ફાયદાઓ, સલાહ અને નિવેદનો ફક્ત સામાન્ય માહિતીના હેતુ માટે છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અહીં કરવામાં આવેલા દાવાઓને સમર્થન કે માન્યતા આપતું નથી. પ્રસ્તુત માહિતી જ્યોતિષીઓ, પંચાંગો, પ્રવચનો, માન્યતાઓ, ધાર્મિક ગ્રંથો અને લોકવાયકાઓ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે. વાચકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ માહિતીને સંપૂર્ણ સત્ય અથવા ચોક્કસ દાવા તરીકે ન ગણે અને પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.)
