Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અખૂટ પ્રેમ ભક્તિમાર્ગની એવી દશા છે જે સમજી ન શકાય

અખૂટ પ્રેમ ભક્તિમાર્ગની એવી દશા છે જે સમજી ન શકાય

17 November, 2022 05:22 PM IST | Mumbai
Morari Bapu

પણ પ્રભુનાં ગુણગાન સતત મનમાં અકબંધ હોય અને ભક્તિમાર્ગ છે જ એવો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

માનસ ધર્મ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)


ગઈ કાલે કહ્યું એમ ભક્તિનું મૂળ બિંદુ વિશ્વાસ છે અને વિશ્વાસ વિના ભક્તિ અસંભવ છે. ભક્તિમાર્ગમાં આવતી ૧૦ દશાની વાત આપણે ગઈ કાલે શરૂ કરી. એમાં અભિલાષા કે મનોરથ, ચિંતા, સ્મૃતિ-સ્મરણ, વ્યાધિ, ઉન્માદ અને પ્રલાપ એમ છ દશાની આપણે વાત કરી. હવે વાત કરવાની છે અન્ય ચાર દશાની, પણ એ વાત કરતાં પહેલાં કહેવાનું કે છઠ્ઠી જે દશા છે એ ખૂબ અગત્યની છે. પ્રલાપ, હીબકાં ભરવાં, પોતાને રોકી ન શકાય એવી અવસ્થા, અટકાવી ન શકાય, સમજાવી ન શકાય એવી આ જે પરિસ્થિતિ છે એ સૌથી અગત્યની છે. મરેલા માટે બધા રડે, બધા આંસુ પાડે; પણ અમર માટે રડવું એ પ્રલાપ છે અને પ્રલાપ એ ભક્તિની જ એક દશા છે.

હવે વાત કરીએ સાતમી દશા એવી ગુણકથનની. ગુણકથન એટલે પ્રભુનાં ગુણગાન કાયમ ગાવાં. સમય કોઈ પણ હોય, સંજોગો કોઈ પણ હોય; પણ પ્રભુનાં ગુણગાન સતત મનમાં અકબંધ હોય અને ભક્તિમાર્ગ છે જ એવો. એ માર્ગ પર ભક્તને ફક્ત ગુણ જ દેખાય, દોષદર્શન સમાપ્ત થઈ જાય. આવું બનવું એ ગુણકથન ભક્તિની સ્થિતિ છે અને આ સ્થિતિ, આ દશા ભોગવનારા ક્યારેય કોઈ પરિસ્થિતિ માટે ભગવાનને દોષી નથી માનતા.



આઠમી દશા છે જડતા. હા, તમે સાચું વાંચ્યું છે. જડતા પણ ભક્તિની જ એક દશા છે અને આ દશા પણ અગત્યની છે. ભક્તિમાર્ગમાં માણસ હરિદર્શનમાં ડૂબી જાય અને નિઃસાધન બનીને જડ બની જાય. ઉદાહરણ પણ છે - અહલ્યા. તારી ચરણરજથી જ મારો ઉદ્ધાર થશે એવી જડતાની સ્થિતિ એ ભક્તિમાર્ગની દશા છે અને આ દશાએ જ અહલ્યાનો ઉદ્ધાર કર્યો એ આપણે સૌ જાણીએ જ છીએ. એટલે જડતાને પણ ભક્તિની દશા જ માનવી, સમજવી.


ભક્તિની નવમી દશા છે ઉદ્વેગ કે ચિંતા. ચિંતા એ માનસિક સ્થિતિ છે. ઉદ્વેગ જ્યારે જન્મે ત્યારે એમાં મન કે તન નહીં પણ મન અને તન બન્ને ચિંતિત થઈ જાય. ભક્તિમાર્ગની આ દશામાં ભગવાન માટે ઉદ્વેગ થાય, પણ આનાથી લૌકિક જગતમાં કોઈ ઉદ્વેગ પેદા ન થાય. ચતુરાઈ અને સમજદારીમાં ફેર છે અને આ જે ફરક છે એ જ ભક્તિનો માર્ગ વધુ સ્પષ્ટ કરે છે.

ભક્તિમાર્ગની છેલ્લી દશા છે અસહ્ય પ્રેમ. યાદ રાખજો કે આ જે દશા છે એ પરમો ધર્મ સમાન છે અને આ દશાનો અનુભવ જ્યાં પણ થાય, જ્યારે પણ થાય ત્યારે એનો આદર કરવો. માણસ સમજી ન શકે, સહન ન કરી શકે કે પછી સ્વીકારી પણ ન શકે એવી પ્રેમની દશા એ ભક્તિમાર્ગની એક દશા છે અને આ જ દશા ભક્તિનો અખૂટ અનુભવ કરાવે છે.


(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2022 05:22 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK