મુંબઈકરો આ કપરા સમયમાંથી પણ બહાર નીકળી જશે: માધુરી દીક્ષિત નેને
માધુરી દીક્ષિત નેનેને વિશ્વાસ છે કે મુંબઈવાસીઓ આ મુશ્કેલ ઘડીમાંથી પણ બહાર નીકળી જશે. કોરોનાના કેર બાદ મુંબઈ પર જે નિસર્ગ તોફાનનાં વાદળ છવાયાં હતાં એને લઈને માધુરીએ આ વાત કહી હતી. શાંત ઝાડ, ફૂલ-પાનનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી કે ‘આ ખરેખર શાંત પરંતુ વિચિત્ર સવાર છે. કદાચ તોફાનના આવવા પહેલાંની આ શાંતિ છે. મહામારીનું જોખમ ઓછું હોય એમ હવે મુંબઈ પર તોફાનનું જોખમ છે. આશા રાખું છું કે એ સમુદ્રની બહાર નહીં નીકળે. મુંબઈકરો તો આમ પણ ઘણા સ્ટ્રૉન્ગ છે. આપણે આ સંકટમાંથી પણ પાર ઊતરીશું.’
માધુરી દીક્ષિત નેનેનું કહેવું છે કે, દીપિકા પાદુકોણ લાર્જર ધૅન લાઇફ પાત્રોને ખૂબ જ સારી રીતે ભજવી શકે છે. માધુરીએ વર્ષોથી તેની ઍક્ટિંગ દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. તેના સમયની સાથે આજની જનરેશનના ઍક્ટર્સ પણ તેના દીવાના છે. આજની જનરેશનની કઈ અભિનેત્રી દરેક પ્રકારનાં પાત્રો ભજવી શકે છે એ વિશે પૂછતાં તેણે દીપિકાનું નામ આપ્યું હતું. દીપિકા પાત્રોની અંદર ઘૂસી જાય છે અને માધુરીને એ ખૂબ જ પસંદ છે. આ વિશે વાત કરતાં માધુરીએ કહ્યું હતું કે દીપિકા લાર્જર ધૅન લાઇફ પાત્રોને ખૂબ જ સારી રીતે ભજવી શકે છે.