વાજિદ ખાનની પત્નીનો સાસરીયા પર આક્ષેપ, ઈસ્લામ કુબૂલ કરવા હેરાન કરે છે
વાજિદ ખાન પત્ની સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
બૉલીવુડના જાણીતા સંગીતકારની જોડી સાજિદ-વાજિદ (Sajid-Wajid)માંથી વાજિદ ખાન (Wajid Khan)નું આ વર્ષે જૂનમાં અવસાન થયું હતું. જોકે, સંગીતાકરની પત્ની કમલરુખ ખાન (Kamalrukh Khan) હજી પણ આ દુઃખમાંથી બહાર આવી શકી નથી. આ દરમિયાન કમલરુખે સોશ્યલ મીડિયામાં એક ઓપન લેટર લખ્યો છે. આ નોટમાં તેણે વાજિદના પરિવાર પર ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે તેને હેરાન કરતી હોવાનો આક્ષેપ મૂક્યો છે.
હાલમાં ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તન અંગે કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ખોટી રીતે, લાલચ આપીને, ધમકાવીને લગ્નના નામ પર છેતરપિંડી કરીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે તો તેને ગુનો માનવામાં આવશે. આ કાયદો અમલી બન્યા બાદ કમલરુખે સોશિયલ મીડિયામાં પોતાની વાત કહી હતી. જોકે, કમલરુખના આ આક્ષેપો પર વાજિદના પરિવારે હજી સુધી કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.
ADVERTISEMENT
કમલરુખે લખ્યું છે કે, 'ધર્માંતરનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે સરકાર આ મુદ્દે એકદમ ગંભીર છે. મારું નામ કમલરુખ ખાન છે અને હું સ્વર્ગીય મ્યૂઝિક ડિરેક્ટર વાજિદ ખાનની પત્ની છું. હું અને મારા પતિ લગ્ન પહેલાં 10 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. હું પારસી છું અને તેઓ મુસ્લિમ હતા. અમે 'કોલેજ સ્વીર્ટહાર્ટ' તરીકે જાણીતા હતા. અમે જ્યારે લગ્ન કર્યાં ત્યારે અમે સ્પેશિયલ મેરેજ એક્ટ (એક એવો કાયદો જે હેઠળ તમે બીજા ધર્મમાં લગ્ન કરી શકો છો) હેઠળ કર્યાં હતાં. આથી જ એન્ટી કન્વર્ઝેશન બિલ મારા માટે ઘણું જ રસપ્રદ છે. હું મારી વાત કરવા માગું છું અને આંતરજ્ઞાતીય લગ્ન કરવાના મારા અનુભવ શૅર કરવા ઈચ્છું છું. ધર્મના નામ હેઠળ માત્ર મહિલા જ પૂર્વગ્રહ અને ભેદભાવ સહન કરે છે. આ ઘણું જ શરમજનક તથા આંખ ઊઘાડનારું છે.'
તેણે આગળ લખ્યું હતું કે, 'મારો ઉછેર એક સરળ પારસી પરિવારમાં થયો છે. પરિવારમાં ડેમોક્રેટિક સિસ્ટમ હતી. વિચારોની સ્વંતત્રતા તથા હેલ્થી ડિબેટ થતી હતી. દરેક પ્રકારે શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. જોકે, લગ્ન બાદ આ જ સ્વતંત્રતા, શિક્ષણ તથા ડેમોક્રેટિક વેલ્યુ સિસ્ટમ મારા પતિના પરિવાર માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. ધર્મ બદલવા માટે મારી પર સતત દબાણ કરવામાં આવતું હતું. ધર્મ ન બદલવાને કારણે વાજિદ અને મારા સંબંધોમાં એક જાતની કડવાશ આવી ગઈ હતી. એક સ્વતંત્ર મહિલા તથા ઓપિનિયન મારા પતિના પરિવારમાં કોઈને સ્વીકાર્ય નહોતો. ધર્મ ન બદલવાનો મારો નિર્ણય ખોટી રીતે લેવામાં આવ્યો હતો. આની અસર અમારા સંબંધો પર પણ પડી હતી. હું દરેક ધર્મનું સન્માન કરું છું. દરેક સેલિબ્રેશનમાં ભાગ લઉં છું. જોકે, ધર્મ ન બદલવાને કારણે મારા તથા વાજિદ વચ્ચે અંતર આવી ગયું હતું.'
View this post on Instagram
પછી તેણે લખ્યું કે, 'મારું આત્મસન્માન ક્યારેય ધર્મ પરિવર્તનની પરવાનગી આપતું નહોતું. હું પતિ તથા તેના પરિવાર માટે ઈસ્લામ કુબૂલ કરી લઉં અને ઝૂકી જાઉં એ વાત મને મંજૂર નહોતી. વ્યક્તિગત રીતે હું કન્વર્ઝનમાં વિશ્વાસ ધરાવતી નથી. હું મારી 16 વર્ષીય દીકરી અર્શી તથા 9 વર્ષીય દીકરા રેહાનને આ બધાથી દૂર રાખવા માગતી હતી અને તેમના માટે એક એક્ઝામ્પલ સેટ કરવા માગતી હતી. હું મારી વિચારધારા માટે લડતી રહી છું. મેં લગ્ન બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો અને આ ભયાનક વિચાર સામે બાથ ભીડી હતી. જોકે, આનું પરિણામ મારા માટે સારું રહ્યું નહીં. તેમના પરિવારે અમને અલગ કરી દીધા. આટલું જ નહીં ધર્મ પરિવર્તન માટે મને ડરાવવામાં આવી, ધમકાવવામાં આવી અને ડિવોર્સ માટે કોર્ટ ઢસડી જવામાં આવી હતી. હું આ બધાથી પડી ભાંગી હતી. ઈમોશનલી હું એકદમ નખાઈ ગઈ હતી. જોકે, મેં અને મારા બાળકોએ મજબૂતીથી આનો સામનો કર્યો હતો.'
કમલરુખે એમ પણ લખ્યું છે કે, 'વાજિદ ઘણાં જ ટેલેન્ટેડ સંગીતકાર છે અને તેમણે પોતાના જીવનમાં ઘણી જ સારી ધૂનો બનાવી છે. હું અને મારા બાળકો તેમને ઘણાં જ યાદ કરીએ છીએ અને ઈચ્છતા હતા કે તેઓ હજી વધુ સારો સમય એક પરિવાર તરીકે અમારી સાથે પસાર કરત. જોકે, ધર્મને કારણે અમે ક્યારેય એક પરિવાર તરીકે સાથે રહી શક્યા નહીં. તેમના નિધન બાદ પણ મને હેરાન કરવામાં આવી રહી છે અને તેથી જ હું આ પોસ્ટ લખી રહી છું. હું મારા અધિકાર તથા બાળકોના વારસા માટે લડીશ. મેં ઈસ્લામ ધર્મ કુબૂલ ના કર્યો એટલા માટે તેઓ મને હજી પણ હેરાન કરી રહ્યાં છે. વ્યક્તિના મોત બાદ પણ તેમનામાં મારા પ્રત્યેની નફરત હજી પણ ઓછી થઈ નથી. હું ઈચ્છું છું કે દેશભરમાં એન્ટી કન્વર્ઝેશન કાયદો લાગુ થાય. આ કાયદાથી મારા જેવી મહિલા, જે આંતરજ્ઞાતિય લગ્નમાં ધર્મના ઝેર સામે લડી રહી છે, તેનો સંઘર્ષ ઓછો કરી શકાશે. કમલરુખે પોસ્ટની અંતે લખ્યું હતું કે ધર્મ ઉજવણી કરવા માટેનું કારણ હોવો જોઈએ, પરિવાર તૂટવા માટે નહીં. સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કમલરુખે કહ્યું હતું, 'તમામ ધર્મ ભગવાન સુધી પહોંચવાના માર્ગ છે. ધર્મ માત્ર 'જીવો અને જીવવા દો' એ સંદર્ભે હોવો જોઈએ.'
તમને જણાવી દઈએ કે, 42 વર્ષીય મ્યૂઝિક કમ્પોઝર તથા સિંગર વાજિદ ખાનનું 31 મે, રવિવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેને કિડનીમાં ઈન્ફેક્શન થતાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા પરંતુ અહીંયા તબિયત સુધરવાને બદલે બગડતી જતી હતી.