અમિતાભ હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે ગયા હતા, હાલ તેમની તબિયત તંદુરસ્ત
અમિતાભ બચ્ચન (PC : Midday)
Mumbai : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયતને લઇને ઘણી ચર્ચા સામે આવી રહી છે. અમિતાભને ત્રણ દિવસ માટે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવાની વાતોએ વેગ પકડ્યું હતું. 17 ઓક્ટોબરના રોજ એક જાણીતી વેબસાઇટમાં સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા કે અમિતાભ બચ્ચનને સારવાર માટે નાણાવટી હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે ત્યાર બાદ ખુલાસો સામે આવ્યો હતો કે અમિતાભ બચ્ચેન માત્ર રૂટીન ચેક અપ માટે હોસ્પિટલમાં ગયા હતા. દાખલ થવાના સમાચાર તદ્દન ખોટા છે.
મળી રહેલ માહિતી પ્રમાણે અમિતાભના નજીકના સુત્રોમાંથી માહિતી મળી છે કે અમિતાભ બચ્ચનની તબિયત હાલ તંદુરસ્ત છે અને તેમને કોઇ પણ પ્રકારની તકલીફ નથી. અમિતાભ બચ્ચનના નજદીકી એવા દીપક સાવંતે જણાવ્યું કે અમિતાભ હંમેશા રેગ્યુલર ચેક અપ માટે હોસ્પિટલમાં જતાં હોય છે. હોસ્પિટલમાં એડમિટ થવાની વાત સદન્તર ખોટી છે. તેમણે કહ્યું કે રૂટિન ચેક-અપને એડમિટ કર્યાં હોવાનું કહીના સમાચાર બનાવી દીધા. બિગ બીની જે ઉંમર છે, તે ઉંમરમાં નિયમિત તપાસ માટે જવું પડે છે અને આ સામાન્ય વાત છે.
ત્રણ-ચાર દિવસથી કોઈ શૂટ નહોતું
આ ઘટના પર દીપકે વધુમાં કહ્યું હતું કે ‘કેબીસી 11’નું છેલ્લાં ત્રણ-ચાર દિવસથી શૂટિંગ નહોતું અને તેમના સ્ટાફને રજા મળી હતી. આ રજાઓને કારણે તેઓ સેટ પર આવતા નહોતાં અને તેથી જ તેમની ગેરહાજરીને એમ કહી દેવામાં આવ્યું કે તેઓ એડમિટ છે. હકીકત આ નથી. ‘કેબીસી’ બાદ તેઓ તરત જ ‘ચેહરે’નું પેચ-અપ વર્ક પૂરું કરશે. પછી રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની સાથે ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે આઉટડોર જશે. તબિયત જો ખરાબ હોત તો તેઓ કેવી રીતે મુંબઈની બહાર શૂટિંગ માટે જવાનું નક્કી કરે. ‘ચેહરે’નું જે કામ બાકી છે, તે પણ મુંબઈ બહાર જ થશે.
આ પણ જુઓ : શ્વેતા બચ્ચન નંદાઃબચ્ચન પરિવારની આ મેમ્બરની આવી છે લાઈફ
બિગ બી શિસ્તબદ્ધ જીવન જીવે છે
દીપિકે એમ પણ કહ્યું હતું કે અમિતાભ બચ્ચન શિસ્તબદ્ધ રૂટિન, ખાન-પાન તથા જીવનશૈલીને કારણે ફિટ રહ્યાં છે. તેઓ ‘કુલી’ અકસ્માત બાદથી જ એક ચોક્કસ પ્રકારના રૂટિનમાં જીવે છે. તેમણે પોતાની જાતને ફિઝિકલી ફિટ કરી છે. કલાકો સુધી કામ કરે તો પણ તેમને થાક લાગતો નથી. તેઓ હવે નોન-વેજ ખાતા નથી. ઓપરેશન બાદ તેમણે દારૂ, સિગરેટ વગેરે સંપૂર્ણપણે છોડી દીધું છે. તેઓ ઠંડું પાણી પણ પીતા નથી. ચા-કૉફી પણ બહુ જ ઓછી લે છે.