‘થોડા સા બાદલ, થોડા સા પાની’માં આ નેરેટિવ સાથેનું પાત્રને ભજવવા ઈશિતા દત્તા ખાસ્સી એક્સાઇટેડ છે
સપનાના રાજકુમારને પરણવાનું સપનું જ્યારે પીંખાય છે…
ઈશિતા દત્તા હવે ‘થોડા સા બાદલ, થોડા સા પાની’માં જોવા મળવાની છે. કલર્સ પર આવી રહેલા આ ફૅમિલી ડ્રામામાં તે કાજોલ મુખરજીનું પાત્ર ભજવતી જોવા મળશે. તે એક મિડલ ક્લાસ બંગાળી ફૅમિલીની હોય છે. તે સ્વીટ હોય છે, પરંતુ સ્માર્ટ નહીં. તે હોશિયાર હોય છે, પરંતુ બહારની દુનિયામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એની તેને ખબર નથી હોતી. તે લગ્ન કરવાની હોય છે ત્યારે જ તેના પપ્પાનું અવસાન થાય છે. તે પોતાની ફૅમિલીની જવાબદારી ઉઠાવી લે છે અને પોતાના સપનાના રાજકુમાર સાથે લગ્ન કરવાનું સપનું પડતું મૂકે છે. ઈશિતાએ ઘણા શોમાં કામ કર્યું છે અને તેણે અજય દેવગન સાથેની ‘દૃશ્યમ’માં પણ કામ કર્યું હતું. તેણે વત્સલ શેઠ સાથે લગ્ન કર્યાં છે. શો વિશે વાત કરતાં ઈશિતાએ કહ્યું હતું કે ‘કલર્સ મારા માટે હંમેશાં ઘર જેવું રહ્યું છે અને આ ચૅનલ સાથે ‘થોડા સા બાદલ, થોડા સા પાની’ દ્વારા ફરી કામ કરવાની મને ખુશી છે. મારું કાજોલનું પાત્ર ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું છે. તેના પિતાના મૃત્યુ બાદ તે કેવી-કેવી પરિસ્થિતિનો સામનો કરે છે અને તેનાં સપનાંઓ રાતોરાત કેવી રીતે બદલાઈ જાય છે એ આ શોનો કન્સેપ્ટ છે. આ એક એવું પાત્ર છે જેની સાથે દરેક વ્યક્તિ કનેક્ટ થઈ શકે છે અને આ નવી મુસાફરી શરૂ કરવા માટે હું ખૂબ આતુર છું.’