‘તેરા યાર હૂં મૈં’માં દલજિતનું પાત્ર ભજવતી સાયંતની ઘોષને રિયલિટી શોના કન્સેપ્ટ આકર્ષે છે અને તેને ફરી આ શોના ફૉર્મેટને અજમાવવું છે
સાયંતની ઘોષ
‘નાગિન’, ‘મહાભારત’, ‘કર્ણસંગિની’ જેવા ટીવી-શો માટે જાણીતી સાયંતની ઘોષ સબ ટીવીના શો ‘તેરા યાર હૂં મૈં’માં દલજિતના રોલમાં છે. ‘તેરા યાર હૂં મૈં’ને લઈને સાયંતની એક્સાઇટેડ છે, કારણ કે તે મોટા ભાગે માઇથોલૉજિકલ રોલ કરતી આવી છે અને પહેલી વખત તેને કૉમેડી શોમાં અલગ પ્રકારનો રોલ કરવાનો મોકો મળ્યો છે. તેનું માનવું છે કે કૉમેડી શોમાં સ્ક્રિપ્ટ અને સ્ટોરીનું મહત્ત્વ છે એટલે અડધું કામ રાઇટર્સનું હોવાથી ઍક્ટર માટે કામ સરળ બની જાય છે. ‘બિગ બૉસ’ની ૬ઠ્ઠી સીઝનમાં ભાગ લઈ ચૂકેલી સાયંતની ઘોષે એવું પણ જણાવ્યું કે જો તેને ફરી બિગ બૉસ હાઉસમાં જવાની ઑફર મળે તો તે અચૂક જવા માગે છે.
તેણે કહ્યું કે ‘બિગ બૉસ’માં તમને દરેક બાબત પર રીઍક્ટ કરવું પડે છે. હું ભલે એવી વ્યક્તિ નથી, પણ ‘બિગ બૉસ 6’ વખતે મને ઘરમાં બહુ મજા આવી હતી એટલે બીજી વખત જવા મળે તો હું જાઉં પણ ખરી! આ ઉપરાંત, મને ‘નચ બલિયે’ની ઑફર પણ આવે છે, પરંતુ દર વખતે કોઈક ને કોઈક કારણસર હું એ શોમાં ભાગ લઈ નથી શકતી. રિયલિટી શોની મજા એ છે કે એમાં તમને કોઈ સ્ક્રિપ્ટ નથી આપતું. તમે જેવા છો એવા ઑડિયન્સ સમક્ષ રજૂ થાઓ છો.’