પ્રચંડ અશોકની જગ્યાએ હવે આ શોને કરવામાં આવશે ઑન ઍર
માઇથોલૉજિકલ શો ‘લક્ષ્મી નારાયણ`નું પોસ્ટર
કલર્સ ચૅનલ પર બહુ જલદી માઇથોલૉજિકલ શો ‘લક્ષ્મી નારાયણ’ શરૂ થઈ રહ્યો છે. ૨૨ એપ્રિલથી શરૂ થઈ રહેલો આ શો સોમવારથી શુક્રવાર રાતે ૧૦ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. ‘પ્રચંડ અશોક’ની જગ્યાએ આ નવો શો ઑનઍર થશે. આ શોની ટૅગલાઇન ‘સુખ સામર્થ્ય સંતુલન’ આપવામાં આવ્યું છે. નારાયણનું પાત્ર શ્રીકાંત દ્વિવેદી અને લક્ષ્મીજીનું પાત્ર શિવ્યા પઠાનિયા ભજવશે. લક્ષ્મીજીની પૂજા દરેક ઘરમાં કરવામાં આવે છે. તેમ જ સૃષ્ટિના સંચાલન માટે નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ વગર એ શક્ય નથી. ચૈત્ર માસની શરૂઆત હોવાથી આ શોની જાહેરાત કરવામાં આવી છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની સ્ટોરી દ્વારા તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને લોકો સુધી આ શો દ્વારા પહોંચાડવામાં આવશે. તેઓ કેવી રીતે એકમેકનો રિસ્પેક્ટ કરતાં અને એકમેકના લક્ષ્યને પૂરાં કરવા માટે કેવી રીતે હંમેશાં એકબીજીના પડખે ઊભાં રહેતાં હતાં એના પર મહત્ત્વ આપવામાં આવશે જેથી આજનાં કપલને પણ પ્રેરણા મળી શકે.