વિદ્યાએ એમ પણ જણાવ્યું હતું કે તેને અનલકી માનીને અનેક ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવી હતી
વિદ્યા બાલન
વિદ્યા બાલને જણાવ્યું છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એક ડિરેક્ટર એવો પણ હતો જે અંધશ્રદ્ધામાં માનતો હતો. એને કારણે તે સેટ પર સતત ૪૨ દિવસ સુધી એક જ જોડી શૉર્ટ્સ પહેરીને આવતો હતો. વિદ્યાએ એમ પણ જણાવ્યું હતું કે તેને અનલકી માનીને અનેક ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવી હતી. તે હવે પ્રતીક ગાંધી સાથે ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’માં જોવા મળી રહી છે. ડિરેક્ટરના અંધવિશ્વાસનો કિસ્સો જણાવતાં વિદ્યા કહે છે, ‘હું એક ફિલ્મમાં કામ કરી રહી હતી, જેમાં એક ડિરેક્ટર શૂટિંગના ૪૨ દિવસો સુધી એક જ જોડી શૉર્ટ્સ પહેરીને આવતો હતો, કારણ કે તે અંધવિશ્વાસી હતો. જોકે એ બાબત મેં નહોતી નોંધી, પરંતુ મેં એવું સાંભળ્યું હતું. દિલચસ્પ વાત એ છે કે એ ફિલ્મ ફ્લૉપ થઈ હતી.’
‘મેરે ઢોલના’ ગીત પર ડાન્સ શીખવા માટે બે અઠવાડિયાં લાગ્યાં હતાં વિદ્યાને
વિદ્યા બાલનને ૨૦૦૭માં રિલીઝ થયેલી ‘ભૂલભુલૈયા’ના ‘મેરે ઢોલના’ ગીતને શીખવામાં બે અઠવાડિયાંનો સમય લાગ્યો હતો. સાથે જ એ ગીતની સરગમને યાદ કરવામાં પણ તેને ખાસ્સો સમય લાગ્યો હતો. સોની પર આવતા ‘સુપરસ્ટાર સિંગર 3’માં વિદ્યા પહોંચી હતી. એ શોમાં નિશાંત ગુપ્તા અને દેવનાશ્રિયાએ ‘મેરે ઢોલના’ પર પર્ફોર્મ કર્યું હતું. તેમના પર્ફોર્મન્સની પ્રશંસા કરતાં વિદ્યા કહે છે, ‘આ ગીત પર પર્ફોર્મ કરવા માટે આભાર. આ મારું ફેવરિટ ગીત છે. તમે બન્નેએ ખૂબ જ સરસ રીતે પર્ફોર્મ કર્યું છે. હું એ જાણવા માટે ઉત્સુક છું કે આ ગીત માટે તમે કેટલી પ્રૅક્ટિસ કરી છે? એવું લાગે છે જાણે ઘણા સમયથી તમે આ કરતાં આવ્યાં છો. મેં જ્યારે આ ગીત પર પર્ફોર્મ કર્યું ત્યારે મને તો માત્ર એની સરગમ યાદ કરવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. સાથે જ ગીતના રિહર્સલમાં મને બે અઠવાડિયાંનો સમય લાગી ગયો હતો. જોકે તમે તો માત્ર ચાર દિવસમાં જ આ ગીતને તૈયાર કરી લીધું હતું.’