આ ઍનિમેશન ફિલ્મે ૧૦ દિવસમાં ૬૫.૬૪ કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લીધી છે
મહાવતાર નરસિંહા
‘સૈયારા’ની શાનદાર સફળતા છતાં ઍનિમેશન ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ના હિન્દી વર્ઝને ભારતીય બૉક્સ-ઑફિસ પર બહુ સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મની કમાણીના આંકડા પર નજર ફેરવીએ તો આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૩૨.૮૨ કરોડ રૂપિયાની અને બીજા વીક-એન્ડમાં પણ ૩૨.૮૨ કરોડ રૂપિયાની કમાણી કરીને ભારતમાં કુલ દસ દિવસમાં ૬૫.૬૪ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે.
આ ફિલ્મે બીજા અઠવાડિયાના શનિવારે એટલે કે નવમા દિવસે ૧૧૨.૨૬ ટકાની વૃદ્ધિ નોંધાવી. ‘મહાવતાર નરસિંહા’એ દસમા દિવસે એટલે કે રવિવારે ૧૬.૨૭ કરોડ રૂપિયાની કમાણી કરીને હિન્દી ઍનિમેટેડ ફિલ્મોમાં એક દિવસમાં સૌથી વધારે કલેક્શન કરવાનો રેકૉર્ડ બનાવ્યો. આ ફિલ્મે દસમા દિવસે એટલે કે રવિવારે પચાસ કરોડ રૂપિયાની નેટ કમાણીનો આંકડો પાર કર્યો જે એક ઍનિમેટેડ ફિલ્મ માટે અસાધારણ સિદ્ધિ છે. ‘મહાવતાર નરસિંહા’નું ઓપનિંગ ફક્ત ૧.૪૬ કરોડ રૂપિયા હતું, પણ ‘સૈયારા’, ‘સન ઑફ સરદાર 2’, અને ‘ધડક 2’ જેવી ફિલ્મોની હાજરી હોવા છતાં ‘મહાવતાર નરસિંહા’એ હિન્દી બેલ્ટમાં પોતાનું વર્ચસ જાળવી રાખ્યું છે. હિન્દી, તેલુગુ, કન્નડ, તામિલ અને મલયાલમમાં રિલીઝ થયેલી આ ઍનિમેશન ફિલ્મ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર (અર્ધ-સિંહ, અર્ધ-માનવ)ની કથા પર આધારિત છે. આ ફિલ્મની વાર્તા વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાંથી પ્રેરિત છે.
ADVERTISEMENT
સૈયારાની ૩૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં એન્ટ્રી
૧૮ જુલાઈએ રિલીઝ થયેલી ‘સૈયારા’ બૉક્સ-ઑફિસ પર ઐતિહાસિક સફળતા હાંસલ કરી રહી છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે આ ફિલ્મે ભારતમાં ૩૦૫.૫૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે જે અહાન પાંડે અને અનીત પડ્ડા જેવા નવોદિત કલાકારોની ફિલ્મ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ ફિલ્મના કમાણીના આંકડા પર નજર નાખીએ તો એણે પ્રથમ સપ્તાહમાં ૧૭૫.૨૫ કરોડ રૂપિયાની, બીજા સપ્તાહમાં ૧૧૦ કરોડ રૂપિયાની, ત્રીજા વીક-એન્ડમાં ૨૦.૨૫ કરોડ રૂપિયાની એમ ભારતમાં કુલ ૧૭ દિવસમાં ૩૦૫.૫૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે.


