રાજીવ કપૂરના નિધન બાદ એકલા પડી ગયા રણધીર કપૂર
નાના ભાઈ રાજીવ કપૂરના હાલમાં થયેલા અવસાન બાદ રણધીર કપૂર એકલા પડી ગયા છે. ૫૮ વર્ષની ઉંમરે કાર્ડિઍક અરેસ્ટ બાદ રાજીવ કપૂરે દુનિયામાંથી વિદાઈ લીધી છે. તેઓ રણધીર કપૂર સાથે એક જ ઘરમાં રહેતા હતા. દેશમાં ચાલી રહેલી મહામારીને ધ્યાનમાં રાખતાં તેમના ચૌથાની વિધિ પણ નથી કરવામાં આવી. જોકે એક નાનકડી વિધિ રાજીવ કપૂરના ઘરે રાખવામાં આવી હતી; જેમાં રણધીર કપૂર, બબીતા, કરિશ્મા કપૂર સાથે ફૅમિલીના અન્ય મેમ્બર્સ હાજર હતા. રાજીવ કપૂરને યાદ કરતાં ૭૩ વર્ષના રણધીર કપૂરે કહ્યું કે ‘ખબર નહીં અચાનક શું થઈ ગયુ. હું રિશી કપૂર અને રાજીવ કપૂર સાથે ખૂબ ક્લોઝ હતો. મારી ફૅમિલીમાંથી મેં ૪ જણને ગુમાવ્યા છે. ઑક્ટોબર ૨૦૧૮માં મારી મમ્મી ક્રિષ્ના કપૂર, ૨૦૨૦ની જાન્યુઆરીએ મોટી બહેન રીતુ, ૨૦૨૦ની એપ્રિલમાં રિશી અને હવે રાજીવ. આ ચારેય મારા માટે ખૂબ અગત્યનાં હતાં. તેમની સાથે હું વધુ વાતો પણ કરતો હતો. હવે હું આ ઘરમાં સાવ એકલો પડી ગયો છું. હું શું કરી શકું? જે થવાનું હતું એ થઈ ગયું.’