લિવ-ઇન-રિલેશનશિપની ઝીનત અમાનની વાત પર ભડક્યા મુકેશ ખન્ના
મુકેશ ખન્ના
ઝીનત અમાન તેમનાં બોલ્ડ અને બિન્દાસ વક્તવ્યોને લઈને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં જ તેમણે યુવાનોને સલાહ આપી હતી કે લગ્ન કરતાં પહેલાં લિવ-ઇનમાં રહો. તેમની આ વાતને લઈને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી કેટલાકે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. મુમતાઝે અને સાયરા બાનુએ પણ ઝીનત અમાનની વાતનો વિરોધ કર્યો હતો. હવે મુકેશ ખન્નાએ પણ આ મુદ્દાને લઈને ઝીનત અમાનની નિંદા કરી છે. એ વિશે મુકેશ ખન્ના કહે છે, ‘આપણી સંસ્કૃતિ અને ઇતિહાસમાં લિવ-ઇન રિલેશનશિપ જેવી વાતોને ક્યારે પણ માન્યતા નથી આપવામાં આવી. આ વેસ્ટર્ન કલ્ચર છે. ઝીનત અમાન તો પહેલેથી જ વેસ્ટર્ન કલ્ચર મુજબ પોતાની લાઇફ જીવે છે. લિવ-ઇન રિલેશનશિપ દ્વારા યુવક અને યુવતી એકબીજાંને ઓળખશે. જોકે આ માત્ર એકબીજાંને ઓળખવાની વાત નથી. ભારતીય પરંપરામાં આ વાત સ્વીકાર્ય નથી. જરા વિચારો જો યુવક-યુવતી પતિ-પત્નીની જેમ સાથે રહે અને તેમની વચ્ચે મનમેળ ન થયો તો તેમનાં દિલ પર શું વીતશે? જે લોકો આવી વાતો કરે છે તેમણે સમજી-વિચારીને બોલવું જોઈએ.’