Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૭ દિવસમાં બનાવ્યા ૭ રેકૉર્ડ ધુરંધર : ધ રિવેન્જએ

૭ દિવસમાં બનાવ્યા ૭ રેકૉર્ડ ધુરંધર : ધ રિવેન્જએ

Published : 27 March, 2026 08:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’એ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરીને સાબિત કરી દીધું છે કે લોકોને આ ફિલ્મ બહુ ગમી છે. એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મનો દેશ-વિદેશમાં કમાણીનો કુલ આંકડો માત્ર ૭ દિવસમાં જ ૧૦૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે.

૭ દિવસમાં બનાવ્યા ૭ રેકૉર્ડ ધુરંધર : ધ રિવેન્જએ

૭ દિવસમાં બનાવ્યા ૭ રેકૉર્ડ ધુરંધર : ધ રિવેન્જએ


ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’એ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરીને સાબિત કરી દીધું છે કે લોકોને આ ફિલ્મ બહુ ગમી છે. એક રિપોર્ટ પ્રમાણે ફિલ્મનો દેશ-વિદેશમાં કમાણીનો કુલ આંકડો માત્ર ૭ દિવસમાં જ ૧૦૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ સાથે જ ‘ધુરંધર : ધ રિવેન્જ’ સૌથી ઝડપથી ૧૦૦૦ કરોડ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની છે. રિલીઝ પહેલાં બનેલી હાઇપને જાળવી રાખતાં આ સીક્વલ સતત નવા રેકૉર્ડ બનાવી રહી છે.

૭ દિવસમાં બનાવેલા ૭ રેકૉર્ડ



આ ફિલ્મે માત્ર ૭ દિવસમાં ૧૦૦૦ કરોડ રૂપિયાની કમાણીનો માઇલસ્ટોન પાર કર્યો.
ભારતની બૉક્સ-ઑફિસ પર અંદાજે ૭૪૫ કરોડ રૂપિયાની કમાણી સાથે આ સૌથી મોટી બૉલીવુડ ફિલ્મ બની છે.
વિદેશમાં માત્ર ૭ દિવસમાં અંદાજે ૨૬૦ કરોડ રૂપિયા કમાઈને આ સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની.
પહેલા સપ્તાહમાં જ ‘પુષ્પા 2’નો રેકૉર્ડ તોડીને એક ભાષા (હિન્દી)માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની.
આ ફિલ્મ ભારતમાં કમાણીના મામલે સૌથી ઝડપી ૩૦૦ કરોડ રૂપિયા અને ૪૦૦ કરોડ રૂપિયાનો આંકડો કરનાર ફિલ્મ બની છે.
આ ફિલ્મ ૧૦૦૦ કરોડની ક્લબમાં સામેલ થનાર દસમી ભારતીય ફિલ્મ બની.
૧૦૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કરનાર આ પાંચમી હિન્દી ફિલ્મ છે. અગાઉ  ‘પઠાન’, ‘જવાન’, ‘ધુરંધર’ અને ‘દંગલ’ આ યાદીમાં સામેલ હતી.


ધુરંધર : ધ રિવેન્જમાં શરારત જેવું ગીત કેમ નથી?

ફૅન્સને સતાવતા આ સવાલનો ખુલાસો કર્યો ફિલ્મના કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ


‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે, પરંતુ ફૅન્સને આ ફિલ્મમાં ‘ધુરંધર’ના ‘શરારત’ જેવી મસ્તીભર્યા ડાન્સ-સૉન્ગની કમી લાગી રહી છે અને તેઓ સોશ્યલ મીડિયા પર સવાલ કરી રહ્યા છે કે ‘ધુરંધર : ધ રિવેન્જ’માં ‘શરારત’ જેવું ગીત કેમ નથી? આ સવાલનો જવાબ હવે ફિલ્મના કોરિયોગ્રાફર વિજય ગાંગુલીએ આપ્યો છે. તેણે સ્પષ્ટ કહ્યું કે આ નિર્ણય પૂરેપૂરો વિચાર કરીને લેવામાં આવ્યો હતો અને એનો સીધો સંબંધ ફિલ્મની સ્ટોરી અને ટોન સાથે છે.
વિજય ગાંગુલીએ જણાવ્યું હતું કે ‘‘ધુરંધર’માં ‘શરારત’ ગીત માટે યોગ્ય જગ્યા હતી, કારણ કે એમાં વેડિંગ-સેટિંગ હતું જેના કારણે સેલિબ્રેશનવાળું ગીત સ્વાભાવિક રીતે ફિટ થતું હતું, પણ ‘ધુરંધર : ધ રિવેન્જ’ સંપૂર્ણ રીતે એક ઇન્ટેન્સ રિવેન્જ થ્રિલર છે જે શરૂઆતથી અંત સુધી સતત ટેન્શન અને ઍક્શન પર આધારિત છે. આવી સ્ટોરીલાઇનમાં મસ્તીભર્યા ડાન્સ-સૉન્ગ માટે જગ્યા જ નહોતી. આ ફિલ્મના નૅરેટિવ ફ્લો અને ડાર્ક ટોનને ધ્યાનમાં રાખીને જ મ્યુઝિક અને કોરિયોગ્રાફી ડિઝાઇન કરવામાં આવી છે. આ કારણે જ મેકર્સે ફન ડાન્સ નંબર ઉમેરવાને બદલે સ્ટોરીને પ્રાથમિકતા આપી છે.’

પાઘડીમાં સ્મોકિંગ કરતો રણવીર સિંહ AIથી બનાવેલો છે

ધુરંધર : ધ રિવેન્જના ડિરેક્ટર આદિત્ય ધરે આ સ્પષ્ટતા કરીને ચેતવણી આપી કે આવી હરકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે અને એને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મે માત્ર ૭ દિવસમાં જ અનેક રેકૉર્ડ તોડી નાખ્યા છે. હાલમાં ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર ફિલ્મની સફળતા માટે દર્શકોનો આભાર માન્યો હતો, પરંતુ હવે તે એક નવા મુદ્દે ચિંતિત છે. હકીકતમાં ફિલ્મને લઈને સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. કેટલાક લોકો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને ફિલ્મના સીન સાથે છેડછાડ કરી રહ્યા છે અને એને વાઇરલ કરી રહ્યા છે જેના કારણે આદિત્ય ધર ખૂબ નિરાશ થયો છે.

તાજેતરમાં રણવીર સિંહની એક તસવીર વાઇરલ થઈ હતી જેમાં તેને પાઘડી પહેરીને સ્મોકિંગ કરતો બતાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ફિલ્મના મેકર્સ અને રણવીર સિંહ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. આ મામલે આદિત્ય ધરે પ્રતિક્રિયા આપતાં આ તસવીરને સંપૂર્ણ રીતે ફેક ગણાવી છે. તેણે જણાવ્યું કે આવી તસવીરો ઇરાદાપૂર્વક બનાવવામાં આવી છે જેથી લોકોમાં ગેરસમજ ફેલાય અને વિવાદ ઊભો થાય.

આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘ફિલ્મને દેશ-વિદેશના દર્શકો તરફથી મળતા પ્રેમ માટે હું ખૂબ આભારી છું, પરંતુ કેટલાક લોકો AIનો ઉપયોગ કરીને ઑફિશ્યલ પ્રમોશનલ મટીરિયલ સાથે છેડછાડ કરીને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે. હાલમાં એક તસવીરમાં ફિલ્મના પાત્રને પાઘડી પહેરીને સિગારેટ પીતું બતાવવામાં આવ્યું હતું જે સંપૂર્ણપણે ફેક છે અને ફિલ્મ અથવા ઑફિશ્યલ મટીરિયલનો ભાગ નથી.’

આદિત્ય ધરે સ્પષ્ટ કર્યું કે તેઓ સિખ સમુદાય માટે બહુ માન રાખે છે અને ફિલ્મમાં દર્શાવેલી દરેક બાબત સંવેદનશીલતા અને જવાબદારી સાથે રજૂ કરવામાં આવી છે. આદિત્ય ધરે દર્શકોને અપીલ કરી કે તેઓ માત્ર ઑફિશ્યલ કન્ટેન્ટ પર વિશ્વાસ રાખે અને AI દ્વારા ફેલાતી ખોટી માહિતીથી દૂર રહે. આ સાથે જ તેણે ચેતવણી આપી કે આવી હરકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રણવીર સિંહે પહેલાં ૬ અઠવાડિયાંમાં વધાર્યું ૧૦ કિલો વજન અને પછી ૧૫ કિલો ઘટાડ્યું

રણવીર સિંહની સુપરહિટ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં તેના લુક અને ફિટનેસે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ફિલ્મમાં તેણે ભજવેલા જસકિરત સિંહ રાંગી અને હમઝા અલી મજારીનાં પાત્રો માટે રણવીરે જબરદસ્ત ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશન કર્યું હતું. રણવીરે આ માટે કેટલી મહેનત કરી હતી એનો ખુલાસો હવે તેના જિમ-ટ્રેઇનર અને ઍક્ટર મુસ્તફા અહમદે કર્યો છે. મુસ્તફા અહમદે પણ ફિલ્મમાં ભારતીય જાસૂસ રિઝવાનનો રોલ કર્યો છે. 

હાલમાં મુસ્તફા અહમદે જણાવ્યું હતું કે ‘રણવીર સિંહે ફિલ્મમાં હમઝા અલી મજારીના પાત્ર માટે માત્ર ૬ અઠવાડિયાંમાં ૧૦ કિલો વજન વધાર્યું હતું. આ માટે તેણે દરરોજ લગભગ ૩૬૦થી ૪૦૦૦ કૅલરીનો આહાર લીધો અને ભારે વર્કઆઉટ કરીને પોતાના શરીરને સંપૂર્ણ રીતે બદલ્યું. આ પછી ફિલ્મમાં જસકિરતના પાત્ર માટે રણવીરને ફરી વજન ઘટાડવું પડ્યું. તેણે આ પાત્ર માટે લગભગ ૧૫ કિલો વજન ઓછું કર્યું હતું. આમ પાત્ર માટે રણવીરે પોતાની સંપૂર્ણ મહેનત અને સમર્પણ દર્શાવ્યાં છે, એને કારણે તેનો પર્ફોર્મન્સ વધુ અસરકારક બન્યો છે.’

ધુરંધરમાં કેટલાક પાકિસ્તાની કલાકારોએ પણ ઍક્ટિંગ કરી છે

ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મો ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ને લઈને સોશ્યલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. કેટલાક દર્શકો આ ફિલ્મને પ્રૉપગૅન્ડા ગણાવીને એની ટીકા કરી રહ્યા છે. ખાસ કરીને કેટલાક પાકિસ્તાની દર્શકોનું માનવું છે કે આ ફિલ્મ તેમના દેશ વિરુદ્ધ છે, પરંતુ એની વચ્ચે એક રસપ્રદ ખુલાસો થયો છે કે ફિલ્મના પહેલા ભાગ ‘ધુરંધર’માં કેટલાક પાકિસ્તાની કલાકારોએ પણ ઍક્ટિંગ કરી છે. 

આ ફિલ્મ સાથે જોડાયેલા ઍક્ટર અને જિમ-ટ્રેઇનર મુસ્તફા અહમદે ખુલાસો કર્યો હતો કે ‘ફિલ્મ ‘ધુરંધર’માં અનેક પાકિસ્તાની કલાકારોએ સપોર્ટિંગ ભૂમિકા ભજવી હતી. આ કલાકારોએ માત્ર અભિનય જ નથી કર્યો, ભાષાસંબંધી બાબતોમાં પણ ટીમને મદદ કરી હતી એથી ફિલ્મ વધુ રિયલિસ્ટિક લાગી હતી. ફિલ્મોની સાચી સુંદરતા એ છે કે પડદા પર કલાકાર માત્ર કલાકાર હોય છે. કલાકારનો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી અને તે માત્ર એ પાત્રમાં ઢળી જાય છે જે તે ભજવે છે. જો કોઈ ફિલ્મને પ્રૉપગૅન્ડા કહે તો એ પણ જોવું જોઈએ કે એમાં પાકિસ્તાની કલાકારોએ મહત્ત્વપૂર્ણ સપોર્ટિંગ રોલ ભજવ્યા છે.’

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 08:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK