અર્જુન રામપાલે તેના જીવનના સૌથી કપરા સમય વિશે ખુલાસો કર્યો
અર્જુન રામપાલ
અર્જુન રામપાલની ગણતરી આજે ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોમાં થાય છે. મૉડલ તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર અર્જુને પોતાની મહેનતના બળ પર ફિલ્મી દુનિયામાં સ્થાન બનાવ્યું છે. ‘ધુરંધર’ની સફળતાએ તેની કારકિર્દીને નવી ઊંચાઈ આપી છે. જોકે એક સમય એવો પણ હતો જ્યારે તેની વ્યાવસાયિક અને અંગત જિંદગી બન્ને ભારે ઊથલપાથલમાંથી પસાર થઈ રહી હતી. એક તરફ તેનો પત્ની મેહર જેસિયા સાથેનો સંબંધ તૂટી રહ્યો હતો તો બીજી તરફ તેની મમ્મી જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહી હતી. હવે અર્જુન રામપાલે પોતાના જીવનના એ સૌથી મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે.
પોતાના જીવનના કપરા સમય વિશે વાત કરતાં અર્જુને કહ્યું હતું કે ‘જ્યારે મારા અને મેહરના સંબંધોમાં તિરાડ પડી રહી હતી ત્યારે મારી જિંદગી સંપૂર્ણપણે અસ્થિર થઈ ગઈ હતી. મારી વૈવાહિક જિંદગીમાં કંઈ જ યોગ્ય ચાલી રહ્યું નહોતું અને એ સમય મારા માટે સૌથી કઠિન હતો. મને લાગે છે કે પ્રેમ સ્થિર નથી હોતો અને જીવનમાં કંઈ જ કાયમી નથી હોતું. આપણે બધા સતત બદલાતા રહીએ છીએ. મને લાગે છે કે એ મારા જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો. એ જ સમયે મારી મમ્મીને કૅન્સર થયું હતું અને મારાં લગ્ન પણ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં હતાં. એક તરફ હું મારી મમ્મીને ગુમાવી રહ્યો હતો અને બીજી તરફ મારા નજીકના લોકોને પણ ગુમાવવાની તૈયારીમાં હતો. આ સમયનાં માત્ર ૩ વર્ષ પહેલાં જ મેં મારા પપ્પાને ગુમાવ્યા હતા અને મિત્રો પણ ધીમે-ધીમે દૂર થતા જઈ રહ્યા હતા. જેમને મેળવવા માટે મેં વર્ષો સુધી મહેનત કરી હતી એ બધાને હું ગુમાવતો જઈ રહ્યો હતો.’
