તેમના આ પારિવારિક મતભેદોની વાતો હવે સોશ્યલ મીડિયા સુધી પહોંચી ગઈ છે
શનાયા કપૂર અને જાહ્નવી કપૂર
બૉલીવુડમાં અનેક સ્ટારકિડ્સ કામ કરી રહ્યાં છે. બોની કપૂર અને અનિલ કપૂરના પરિવારમાંથી સોનમ કપૂર, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂર બૉલીવુડમાં પહેલાં લૉન્ચ થયાં હતાં અને હવે સૌથી નાના ભાઈ સંજય કપૂરની દીકરી શનાયા કપૂરે પણ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. હવે બૉલીવુડમાં ચર્ચા છે કે શનાયા અને તેની કઝિન જાહ્નવી વચ્ચે અણબનાવ છે અને તેમના આ પારિવારિક મતભેદોની વાતો હવે સોશ્યલ મીડિયા સુધી પહોંચી ગઈ છે.
આ ચર્ચા પ્રમાણે શનાયાની મમ્મી અને સંજય કપૂરની પત્ની મહીપ કપૂર તેના જેઠ અને જાહ્નવીના પિતા ફિલ્મમેકર બોની કપૂરથી નારાજ છે, કારણ કે બોનીએ શનાયાની કરીઅર શરૂ કરવામાં કોઈ મદદ નહોતી કરી. શનાયા બૉલીવુડમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે મહીપને લાગ્યું હતું કે તેને બોની કપૂર તરફથી મદદ મળશે. તેણે પતિ સંજય કપૂર મારફત એ વિશે વાત કરી હતી, પણ બોની કપૂરને દીકરીઓ જાહ્નવી અને ખુશીની જ કરીઅરમાં વધુ રસ હતો. એ પછી મહીપ હવે ઇચ્છે છે કે તેની દીકરી શનાયા બૉલીવુડમાં જાહ્નવી કરતાં વધુ સફળ બને. કહેવાય છે કે આ કારણસર જાહ્નવી અને શનાયા વચ્ચે થોડું અંતર આવી ગયું છે. જોકે આ કોઈ મોટી દુશ્મની નથી, પરંતુ અણબનાવ ચોક્કસ છે.


