ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સૌને પોતાની અંદર સમાવી લે છે: અદિતિ રાવ હૈદરી
અદિતિ રાવ હૈદરી
અદિતિ રાવ હૈદરીનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમામ લોકોને પોતાની અંદર સમાવી લે છે. હાલમાં બૉલીવુડને લઈને ખૂબ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. એ વિશે અદિતિએ કહ્યું હતું કે ‘આશા રાખું છું કે એક દિવસ આ બધી વસ્તુઓનો ઉકેલ આવી જશે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી દોષરહિત નથી હોતી. આપણે માનવ છીએ અને ભૂલો કરીએ છીએ. આપણામાં પણ ખામીઓ છે. કેટલીક બાબતો છે જેના પર ચર્ચા કરવાની જરૂર છે, પરંતુ આપણી ઇન્ડસ્ટ્રીની એક સારી બાજુ પણ છે. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણે પ્રામાણિક છીએ, એકબીજાની પડખે ઊભા રહીએ છીએ. લોકો ભલે કંઈ પણ કહે, પરંતુ આપણે એકબીજાને સાથસહકાર આપીએ છીએ.’
હાલમાં બૉલીવુડમાં ઇનસાઇડર-આઉટસાઇડરને લઈને ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. એ સંદર્ભે અદિતિએ કહ્યું હતું કે ‘લોકો ઇનસાઇડર-આઉટસાઇડર બાબત પર ચર્ચા કરે છે. હું એટલું જરૂર કહીશ કે ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો છે જેમને હું મુસીબત સમયે કૉલ કરી શકું છું. હું બહારથી આવેલી હોવા છતાં પણ તેઓ મારી મદદ કરે છે. જોકે હું નથી માનતી કે હું આઉટસાઇડર છું. મારું તો એટલું જ માનવું છે કે ઇન્ડસ્ટ્રી સૌકોઈને પોતાનામાં સમાવી લેવાનું સ્થાન છે.’