છોકરા-છોકરીઓ સાથે રાસ રમે એ વાત શહેરી વિસ્તારોમાં જલદી સ્વીકારી લેવામાં આવી અને એને લીધે મિશ્ર રાસનું ચલણ વધ્યું જે ધીમે-ધીમે આજના દાંડિયાના રૂપ સુધી પહોંચ્યું
ધીના ધીન ધા
ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે જે રાસ રમતા એ જ રાસને નવા રૂપમાં લાવીને મિશ્ર રાસ તરીકે સૌની સામે મૂકવામાં આવ્યો.
રાસ-ગરબા ઓરિજિનલી ખેતી સમયની પ્રવૃત્તિ ગણાતી અને સાથોસાથ આનંદ માટે પણ એ રમવામાં આવતા. પહેલાંના સમયમાં મનોરંજન માટે કશું હતું નહીં અને મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર હતા. આખો દિવસ ખેતી માટે ગામની બહાર રહેતા હોય એટલે ત્યાં રહેલા લોકો મનોરંજન માટે આ માધ્યમનો ઉપયોગ કરતા તો ગામમાં રહેતા લોકો માટે ભવાઈ અને નવરાત્રિ દરમ્યાન રાસ-ગરબા રહેતા. જોકે સમય જતાં આ રાસ-ગરબા ખેડૂતોના જીવનમાંથી દૂર થઈ ગયા અને એનો વ્યાપ વધતાં ધીમે-ધીમે એ શહેરોમાં અને પછી દુનિયાભરમાં પ્રસરી ગયા. શહેરમાં આવ્યા પછી આ રાસ-ગરબામાં ઘણો ચેન્જ આવ્યો, મ્યુઝિકમાં પણ બદલાવ આવ્યો અને યાદવોના સમયથી શરૂ થયેલા રાસ-ગરબાએ આજનું રૂપ લીધું. જોકે આજનું આ રૂપ આવ્યું એ પહેલાં મિશ્ર રાસ આવ્યો જેણે આજના રાસ-ગરબાને નવા રૂપમાં લાવવાનું ઘણું મહત્ત્વનું કામ કર્યું.