એક માલેતુજાર અમેરિકન ગુજરાતીએ તો પોતાના મૅરેજ ફંક્શનની બહાર જ કોવિડની ઇન્સ્ટન્ટ ટેસ્ટ માટે મેડિકલ ટીમ બેસાડી હતી
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
કારણ કે સરકારે સત્તાવાર રીતે જાહેર કરી દીધું છે કે કોરોના વિશે અમે તમને બહુ કહી દીધું, સમજાવી દીધું અને તમારા માટે બહુ જહેમત પણ ઉઠાવી લીધી. હવે કોરોનાની તમામ જવાબદારી તમારી છે. હા, આ જ સંદર્ભનો સત્તાવાર સંદેશો અમેરિકન સરકાર દ્વારા આપી દેવામાં આવ્યો છે અને એટલે જ અત્યારે અમેરિકામાં જબ્બર મૅરેજ સીઝન છે તો પણ મોટા ભાગના લોકો એ ફંક્શનમાં માસ્ક પહેરીને ફરે છે. એકબીજાને રિક્વેસ્ટ પણ કરે છે કે પ્લીઝ, તમે ફંક્શનમાં આવો એ પહેલાં એક વખત કોવિડની ટેસ્ટ કરાવીને આવજો, જેથી અહીં રહેલા મહેમાનો હેરાન ન થાય.
એક માલેતુજાર અમેરિકન ગુજરાતીએ તો પોતાના મૅરેજ ફંક્શનની બહાર જ કોવિડની ઇન્સ્ટન્ટ ટેસ્ટ માટે મેડિકલ ટીમ બેસાડી હતી. મૅરેજમાં આવનારી દરેકેદરેક વ્યક્તિએ એ ટેસ્ટ પછી જ અંદર આવવાનું. જો ટેસ્ટ પૉઝિટિવ આવે તો બહારથી જ તેને પ્રેમપૂર્વક રવાના કરી દેવાની. આ જે સાવચેતી છે એ સાવચેતી જરૂરી છે અને એનું કારણ પણ તમને કહ્યું છે. કોરોનાની કોઈ દવા હજી સુધી શોધાઈ નથી અને એટલે જ કોરોનાથી આજે પણ ડરવાનું છે. એચઆઇવી પૉઝિટિવની દવા નથી મળી એટલે જ આપણે અમુક બાબતોમાં સાવધાની રાખીએ છીએને? કૅન્સર પણ જડમૂળથી નાશ કરે એવી દવા નથી આવી એટલે આપણે આજે પણ સિગારેટના બૉક્સ પર ૭૦ ટકા જગ્યા રોકે એવી મોટી સ્ટૅચ્યુટરી વૉર્નિંગ મૂકીએ છીએને? કારણ શું?
આ એવી તકલીફો છે જેના માટે કોઈ મેડિસિન નથી અને અત્યારે કોરોના પણ એ જ કૅટેગરીમાં આવે છે તો પછી શું કામ બેદરકારી દાખવવાની. અમેરિકાએ તો ત્યાં સુધી અનાઉન્સ કરી દીધું છે કે હવે કોરોના થનારાને કોઈ સરકારી સહાય નહીં મળે અને કોરોના જેને થયો હશે એની રજાઓને પણ ચાલુ સૅલેરીએ માન્ય ગણવામાં નહીં આવે. આ જે નિર્ણય લેવાયો છે એની પાછળનું હાર્દ એ છે કે કોરોના હવે તમારી બેદરકારીથી જ થાય એવી સંભાવના વધી ગઈ છે ત્યારે જો તમે એવા બેદરકાર રહેવાના હો તો અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે અમે અમારી ફોજ તમારી પાછળ લગાવીને બેસીએ.
ADVERTISEMENT
આવું કશું આપણે ત્યાં બન્યું નથી અને આવું કશું આપણે ત્યાં બને એવી સંભાવના પણ નહીંવત્ છે, પણ એનો અર્થ એવો તો બિલકુલ નથી જ નથી કે આપણે બેદરકારીની બાબતમાં જરા પણ સભાન ન થઈએ. સભાનતાનો સમય છે અને આ સભાનતા સ્વૈચ્છિક લેવાની છે. આજે મોટા ભાગની જગ્યાએ કોઈ બંધન રહેવા નથી દીધું, પણ એનો અર્થ એવો નથી કે કોરોનાનો ભય હવે નીકળી ગયો છે. બંધન એ કારણે હટાવવામાં આવ્યાં છે જેથી દેશની ઇકૉનૉમી સ્ટેબલ થાય અને લોકોનું આર્થિક જીવન પણ ફરીથી પાટે ચડી જાય. લૉકડાઉન નામના સર્પના લિસોટા હજી પણ સહેજ દેખાય છે તો એ લિસોટાને દૂર કરવાની જવાબદારી સરકારની છે, પણ જો એ એક જવાબદારી પર સભાન છે તો આપણે બાકીની જવાબદારીને વાજબી રીતે સમજીએ, સમજીએ અને એનું પાલન કરીએ.