પડીકાની જગ્યાએ પૅકિંગ સિસ્ટમ આવી. દાણાવાળાઓએ નવી-નવી લાઇનમાં પ્રવેશ કર્યો, પણ મૉલ અને ઑનલાઇન વેપારની વચ્ચે હજી પણ તેઓ અડીખમ રહી ટક્કર આપી રહ્યા છે.
સોશ્યોલૉજી
પ્રતીકાત્મક તસવીર
૧૭૫ વર્ષ પહેલાં મુંબઈ ગામડા જેવું હતું ત્યારથી મુંબઈમાં અનાજ અને રસક્સનો વેપાર કચ્છી માડુંઓના હાથમાં રહ્યો છે. પહેલાં મુંબઈમાં હજારો, પછી લાખો અને હવે કરોડો લોકોના ઘરમાં અનાજ પૂરું પાડતા વાણી ઓછા નફે આ સેવા જેવો વેપાર કરી સમૃદ્ધ થયા છે.વર્ષો પહેલાં ૨૦૦-૫૦૦ રૂપિયામાં દુકાન લઈ, આગળ દુકાન અને પાછળ ઘર બનાવીને દુકાનદારો રહેતા. ઘરની એક સ્ત્રી ચાર-છ મહિના મુંબઈ રહીને દુકાનના પુરુષો, નોકરો ઇત્યાદિ માટે માની (જમવાનું) બનાવે. દુકાનદાર ૧૬-૧૮ કલાક મહેનત કરી, અનાજ ચાળવાથી લઈને ગૂણીઓ ખભા પર મૂકી ઘરે-ઘરે પહોંચાડે. કરિયાણાની બે-ત્રણ પૈસાની પડીકીઓ વાળી ઘરાકોને આપે અને ઇતર પ્રવૃત્તિ તરીકે ધર્મધ્યાન કરે.
એ સમયે સાઉથ મુંબઈમાં કચ્છી દાણાવાળા મોદી તરીકે ઓળખાતા, મધ્ય મુંબઈમાં મિલકામદારોમાં વાણી તરીકે ઓળખાતા અને સમય જતાં સબર્બનો વિકાસ થયો ત્યારે ત્યાં બનિયા તરીકે ઓળખાવા લાગ્યા. લોકોના જીવનમાં વાણી અનિવાર્ય અંગ હતું. લોકોને કચ્છી ‘વાણી’ પર વિશ્વાસ હતો. વાણી પણ મિડલ ક્લાસ અને ગરીબોનું બજેટ સાચવી લેતો.
ADVERTISEMENT
એ સમયમાં હોટેલો બહુ ઓછી હતી, પણ બહેનો ખાનાવડી (વીસી) ચલાવતી. ખાનાવડી ચલાવતી આ ગરીબ બહેનોને ઉધાર માલ આપી તેમનો ખરાબ સમય સાચવી લેતા, કોઈ સામાજિક પ્રસંગે આઠ આના, બાર આનાનો ફાળો લખાવતા. આઝાદીની ચળવળ વખતે રાષ્ટ્ર-જાગૃતિના સંદેશાવાળા પૅમ્ફ્લેટમાં કરિયાણું બાંધી રાષ્ટ્ર-જાગૃતિનાં છૂપાં કામો વાણી કરતો. સમય બદલાયો, મહેનતકશ દાણાવાળા આર્થિક રીતે સધ્ધર થયા. નવી પેઢી ભણતર મેળવી દેશ-વિદેશમાં ફેલાઈ ગઈ. પડીકાની જગ્યાએ પૅકિંગ સિસ્ટમ આવી. દાણાવાળાઓએ નવી-નવી લાઇનમાં પ્રવેશ કર્યો, પણ મૉલ અને ઑનલાઇન વેપારની વચ્ચે હજી પણ તેઓ અડીખમ રહી ટક્કર આપી રહ્યા છે. ૧૭૫ વર્ષથી વધુ સમયથી મુંબઈની ભૂખ ભાંગનારા દાણા કે કરિયાણાવાળાએ આજે પણ દિવસ-રાત મહેનત કરી શાખ અકબંધ રાખી છે. લાલબાગમાં ૮૩ વર્ષના કલ્યાણજીભાઈ દેઢિયાને દાણાના વેપારને ઉત્સાહપૂર્વક કરતા જોઈને આ દાણાવાળાની આખી પેઢીને વંદન કરવાની હોંશ જાગે છે. અસ્તુ.