દેશનાં સ્ટૉક એક્સચેન્જોએ શૅરધારકોને કોઈ પણ માહિતી પૂરી પાડતી વખતે ગેરમાર્ગે દોરનારાં નિવેદનો કરવા સામે લિસ્ટેડ કંપનીઓને કડક ચેતવણી આપી છે.
બીએસઈ
દેશનાં સ્ટૉક એક્સચેન્જોએ શૅરધારકોને કોઈ પણ માહિતી પૂરી પાડતી વખતે ગેરમાર્ગે દોરનારાં નિવેદનો કરવા સામે લિસ્ટેડ કંપનીઓને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે લિસ્ટેડ કંપનીઓએ સત્ય ન હોય એવું કોઈ પણ નિવેદન કરવું નહીં કે વચન આપવું નહીં કે પછી એવી કોઈ પણ અટકળ કરવી નહીં.
કંપનીઓ પોતાના માટે અગ્રણી, નિષ્ણાત કે એ મુજબના કોઈ પણ શબ્દનો પ્રયોગ કરે તો એ વાસ્તવિક આંકડાઓ પર આધારિત હોવો જોઈએ. વળી, એ માહિતી ફક્ત એક સ્રોતમાંથી નહીં, પરંતુ માન્યતાપ્રાપ્ત સ્રોતમાંથી અને તૃતીય પક્ષનું પ્રમાણપત્ર ધરાવતી હોય એવા સ્રોતમાંથી મળી હોવી જોઈએ. કંપની કોઈ પણ દાવો કરે ત્યારે એનો સ્રોત પણ જાહેર કરવો જરૂરી છે અને એ સ્રોત પરની માહિતી જાહેરમાં સર્વને ઉપલબ્ધ હોવી જોઇએ, જેની ચકાસણી પણ થઈ શકવી જોઈએ, એવું બીએસઈ અને એનએસઈએ લિસ્ટેડ કંપનીઓ માટે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે.
ADVERTISEMENT
કંપનીઓને વધુમાં કહેવામાં આવ્યું છે કે જો તેઓ કોઈ પણ આંકડાઓ જાહેર કરે તો એ પાછલાં ત્રણ વર્ષના આંકડા હોવા જોઈએ, જેમાં વેચાણ, કુલ નફો, ચોખ્ખો નફો, શૅરમૂડી, અનામત, પ્રતિ શૅરઆવક, ડિવિડન્ડ, કરજ અને બુક વૅલ્યુ જેવી વિગતો સામેલ હોવી જોઈએ. એ વિગતો જ્યાં ઉપલબ્ધ હોય અને જેના પર ચકાસણી કરી શકાય એવી વેબસાઇટની લિન્ક પણ કંપનીઓએ પૂરી પાડવી જરૂરી છે. તેમણે ભવિષ્યનું ગુલાબી ચિત્ર રજૂ કરનારું નિવેદન કરવું જોઈએ નહીં, એમ કહેતાં એક્સચેન્જોએ ઉમેર્યું છે કે જો કંપનીને કોઈ અવૉર્ડ મળ્યાની જાહેરાત કરવામાં આવે તો કંપનીએ અવૉર્ડ આપનારી સંસ્થા સાથે પોતાને કોઈ સંબંધ છે કે નહીં એની પણ જાણ કરવી જરૂરી છે.