ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમ કોઈ પ્રયોગ નહીં કરે
ટીમ ઈન્ડિયા
આ વર્ષે ૩૦મેથી ૧૪ જુલાઈ સુધી વન-ડે વર્લ્ડ કપ રમાશે. આ પહેલાં ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા સામે પાંચ વન-ડે અને બે ટી20ની સિરીઝ રમશે. આ માટે ૧૫ ફેબ્રુઆરીએ શુક્રવારે સિલેક્શન સમિતિની મુંબઈમાં બેઠક થશે. આ બેઠકમાં સિલેક્ટરોનું ધ્યાન વર્કલોડ મૅનેજમેન્ટ પર હશે જેમાં ટી20 સિરીઝમાં રોહિત શર્માને આરામ આપવામાં આવે એવી શક્યતા છે. બીજી માર્ચથી હૈદરાબાદમાં પહેલી વન-ડે રમાશે. તો ૧૩ માર્ચે દિલ્હીમાં પાંચમી અને છેલ્લી વન-ડે રમાશે. ૨૪ ફેબ્રુઆરીએ વિશાખાપટનમાં પહેલી અને ૨૭ ફેબ્રુઆરીએ બૅન્ગલોરમાં બીજી રમાશે.
ઑસ્ટ્રેલિયા સામે જે ટીમ વન-ડે સિરીઝમાં રમશે લગભગ એ જ ટીમ ઇંગ્લૅન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં હશે. આ વિશે ટીમ-મૅનેજમેન્ટ અને સિલેક્શન સમિતિ વચ્ચે કોઈ મતભેદ નથી. વન-ડે સિરીઝમાં વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ૧૫ને બદલે ૧૬ સભ્યોની ટીમ પસંદ કરવામાં આવશે. પોતાનું નામ ન જણાવવાની શરતે ક્રિકેટ ર્બોડના એક અધિકારીએ કહ્યું હતું કે ટી20 સિરીઝ માટે રોહિત શર્માને આરામ આપવામાં આવશે. વિરાટ કોહલી જ ટીમની કૅપ્ટન્સી કરશે. જોકે વન-ડે ટીમમાં કોઈ પ્રયોગો કરવામાં નહીં આવે.’
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IND VS AUS:શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થશે
વર્કલોડ મૅનેજમેન્ટ વિશે વાત કરતાં અધિકારીએ કહ્યું હતું કે ‘મોટા ભાગના વન-ડે ખેલાડીઓને બે સપ્તાહનો આરામ મળ્યો છે. પાંચ મૅચોની સિરીઝ દરમ્યાન ફાસ્ટ બોલરોને બદલવામાં આવશે, પરંતુ કોઈને પણ આરામ આપવામાં નહીં આવે. વર્લ્ડ કપ માટે માત્ર બે સ્પૉટ જ ખાલી છે. દિનેશ કાર્તિક અને રિષભ પંત વચ્ચે બીજા વિકેટકીપર અને ત્રીજા ઓપનરની જ જગ્યા ખાલી છે. પહેલી ત્રણ મૅચ દરમ્યાન ટીમ-મૅનેજમેન્ટ કોઈ પ્રયોગો નહીં કરે. છેલ્લી બે મૅચમાં શિખર ધવનને આરામ આપવાની યોજના છે. એથી લોકેશ રાહુલ ફૉર્મમાં વાપસી કરે અને તેને વર્લ્ડ કપ માટે તૈયાર રાખી શકાય.