અમદાવાદમાં રમાશે ડે-નાઇટ ટેસ્ટ: ગાંગુલી
સૌરવ ગાંગુલી
આવતા વર્ષે જાન્યુઆરી-માર્ચના ગાળામાં ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમ ભારતની મુલાકાતે આવી રહી છે જેમાં લિમિટેડ ઓવરની મૅચ સાથે પાંચ ટેસ્ટ મૅચની સિરીઝ રમાશે. આ પાંચમાંની એક ટેસ્ટ મૅચ અમદાવાદમાં યોજાશે અને એ મૅચ પિન્ક બૉલ ટેસ્ટ એટલે કે ડે-નાઇટ હોવાની ભારતીય ક્રિક્રેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીએ ગઈ કાલે જાહેરાત કરી હતી.
કલકત્તા પ્રેસ ક્લબમાં એક કાર્યક્રમ દરમ્યાન ગાંગુલીએ આ વાત જણાવી હતી. ભારતમાં કોરોનાનો પ્રકોપ હોવાથી આ ટુર્નામેન્ટ આઇપીએલની જેમ યુએઈમાં ખસેડવાની ચર્ચા કરવામાં આવી રહી હતી, પણ ગાંગુલીએ આપેલી આ જાણકારી બાદ બીસીસીઆઇ બાયો-સિક્યૉર બબલ બનાવવા અને અન્ય તમામ સુરક્ષાનાં પગલાં લેવાની તૈયારી કરી રહી હોવાની સાબિતી મળે છે.
ઇન્ડિયા-ઇંગ્લૅન્ડ ટેસ્ટ સિરીઝ માટે અમદાવાદ, ધરમશાલા અને કલકત્તા એમ ત્રણ વેન્યુ નક્કી કરવાની વિચારણા કરવામાં આવી રહી છે પણ એના પર હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.
ગાગુંલીએ કહ્યું કે ઇંગ્લૅન્ડ સાથેની ટુર્નામેન્ટ માટે હજી ચાર મહિના છે અને હજી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. અમારી પહેલી પ્રાયોરિટી ઑસ્ટ્રેલિયા ટૂર છે અને નજીકના દિવસોમાં એ માટે ટીમ સિલેક્શન કરવામાં આવશે.’