થૉમસ કપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા પછી દેશમાં સ્વાગતના અભાવ વિશે ચિંતા વ્યક્ત કરનાર શટલર સાત્વિકસાઈરાજે ઓપન લેટરમાં લખ્યું...
થૉમસ કપમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમ સાથે સેલ્ફી પડાવતો સાત્વિકસાઈરાજ.
સ્ટાર ભારતીય ડબલ્સ બૅડ્મિન્ટન ખેલાડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ગઈ કાલે દેશને સંબોધીને એક ઓપન લેટર લખ્યો હતો. ચીનમાં હાલમાં થોમસ કપ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ મેડલ જીત્યા પછી ભારતમાં ટીમના ખેલાડીઓના સ્વાગતનો અભાવ જોઈને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ કહ્યું હતું કે ‘અમે હંમેશની જેમ મેડલ જીતીને ભારત આવી રહ્યા છીએ. કોઈને ખબર નથી કે અમે શું જીતીને આવ્યા. એવું લાગે છે કે કોઈને ખરેખર પરવા નથી.’ આંધ્ર પ્રદેશના પચીસ વર્ષના બૅડ્મિન્ટન ખેલાડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ગઈ કાલે શૅર કરેલા ઓપન લેટરમાં લખ્યું હતું, ‘મને દરેક રમતવીર માટે ખૂબ માન છે જે ભારતને ગૌરવ અપાવે છે. પછી ભલે એ રમત કોઈ પણ હોય. આપણે એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂર છે જે દરેક જીતને પ્રોત્સાહન આપે અને ઉજવણી કરે. ભલે એ જીત મોટી હોય કે નાની. પછી ભલે એ વર્લ્ડ કપ મેડલ હોય કે થૉમસ કપ જેવી વૈશ્વિક ચૅમ્પિયનશિપમાં પોડિયમ ફિનિશ હોય. આ ક્ષણો વર્ષોનાં બલિદાન અને સખત મહેનતનું પ્રતિનિધિત્વ કરે છે.’ તેણે વધુમાં લખ્યું હતું કે ‘આવાં સીમાચિહ્નો પર મૌન છવાઈ રહે ત્યારે એ ફક્ત અમારા માટે જ નહીં, ભારતીય રમતવીરોની ભાવિ પેઢીઓ માટે નિરાશાજનક છે. અમે મોટા
પ્રાઇઝ-મની કે ગ્રૅન્ડ પરેડ નથી માગતા. અમે ફક્ત એટલું જાણવા માગીએ છીએ કે અમારો દેશ અમારા પ્રયત્નો જોઈ રહ્યો છે. ચાલો, આપણે બધા રમતને સમાન જુસ્સા સાથે સમર્થન આપવા સાથે આવીએ. આગલી વખત કોણ ઓછું કે વધુ જીત્યું એ વિશે નહીં પરંતુ ભારતની જર્સી પહેરનાર દરેકની ઉજવણી વિશે વાત કરીએ.’
