પાઇલટ પ્રોજેક્ટ માટુંગા રોડ સ્ટેશન પર શરૂ કરવામાં આવ્યો
વિશેષ કેમિકલ કોટિંગનું પરીક્ષણ
લોકલ ટ્રેનનાં સ્ટેશનો પર પાનની પિચકારીઓ અને બીજી કોઈ રીતે પડી ગયેલા ડાઘની સમસ્યાનો ઉકેલ લાવવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા માટુંગા રોડ સ્ટેશન પર એક વિશેષ કેમિકલ કોટિંગનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રાયોગિક પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનનાં ૮ અલગ-અલગ સ્થળોએ ૩૭૦૦ ચોરસફુટ વિસ્તારમાં લાલ રંગનું ખાસ કોટિંગ લગાવવામાં આવ્યું છે. પાંચ લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલા આ પાઇલટ પ્રોજેક્ટમાં જર્મન નૅનો-ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પાન-મસાલાના ડાઘને દીવાલની સપાટીની અંદર શોષાતાં રોકે છે.
વેસ્ટર્ન રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર વૉલગાર્ડ અને મેટલગાર્ડ બ્રૅન્ડનાં આ પ્રોટેક્ટિવ લેયર સ્ટેશનની દીવાલો, લિફ્ટ, છત અને મેટલ સર્ફેસ પર લગાવવામાં આવ્યાં છે. આ કોટિંગને કારણે પાનના ડાઘ સાફ કરવાનો સમય ૩૦ મિનિટથી ઘટીને માત્ર પાંચ મિનિટ થઈ જશે. આ કોટિંગ કાટ, હવામાનના ફેરફારોને લીધે પડતા ડાઘ અને રોજિંદા ઘસારા સામે આગામી પાંચ વર્ષ સુધી રક્ષણ આપશે. એની ઍન્ટિ-સ્ટેઇન પ્રૉપર્ટીઝને લીધે પાન-મસાલાના ડાઘ, કલર કે કચરો સપાટીની અંદર ચોંટતા નથી એટલે એને માત્ર પાણી અને સામાન્ય સફાઈથી સરળતાથી દૂર કરી શકાય છે.
ADVERTISEMENT
સફાઈ-કર્મચારીઓ અત્યારે ઍસિડ અને અન્ય કેમિકલનો ઉપયોગ કરે છે છતાં ડાઘ પૂરા ભૂંસાતા નથી ત્યારે આ નવી ટેક્નૉલૉજી સફાઈકામને વધુ ઝડપી અને સરળ બનાવશે.
