યુવરાજ સિંહ ફરી મેદાનમાં જોવા મળશે
ફાઈલ ફોટો
વર્લ્ડ કપ 2011માં ઓલરાઉન્ડ તરીકેની મહત્વની ભૂમિકા ભજવનારા અને એક ઓવરમાં છ સિક્સ મારનારા આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહે ક્રિકેટમાં ફરી જોડાવાનો નિર્ણય લીધો છે. તેણે પોતાની રિટાયરમેન્ટ પાછી ખેચવાનું મન બનાવી લીધું છે.
પંજાબ ક્રિકેટ સંઘ (PCA)ની વિનંતીને ધ્યાનમાં લઈ ક્રિકેટમાંથી જે નિવૃતિ લીધી હતી તે પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 2011 વર્લ્ડ કપના 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' બનેલા યુવરાજે ગયા વર્ષના જૂન મહિનામાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
PCAના સચિવ પુનીતબાલી પ્રથમ એવી વ્યક્તિ હતા કે જેમણે 38 વર્ષિય યુવરાજને પંજાબ ક્રિકેટના હિત માટે નિવૃતિ પાછી ખેંચવા માટે વિનંતી કરી હતી. "Cricbuzz" ને યુવરાજે કહ્યું કે શરૂઆતમાં હું આ બાબતને સ્વીકારવા માટે તૈયાર ન હતો.
તેણે કહ્યું કે હું ઘરેલુ ક્રિકેટ રમવાનું બંધ કર્યું હતું, પણ હું વિશ્વભરમાં અન્ય ઘરેલુ ફ્રેન્ચાઈઝી લીગમાં રમવાનું જાળવી રાખવા ઈચ્છતો હતો. દરમિયાન યુવરાજે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આ અંગે પત્ર લખ્યો છે. પુનીલ બાલીએ કહ્યું કે હું જાણુ છું કે તેમણે નિવૃતિ પાછી લેવા માટે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને એક પત્ર લખ્યો છે. એવા સમાચાર આવ્યા હતા કે તે બિગ બેશળ લીગમાં રમવા ઈચ્છે છે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેમના માટે એક ટીમ પણ શોધી રહી છે. BCCIના નિયમો પ્રમાણે ફક્ત સંન્યાસ લેનારા ક્રિકેટર જ વિદેશી લીગમાં રમી શકે છે.
યુવરાજની માતા શબનમ સિંહે પણ કહ્યું કે છે કે યુવરાજમાં ક્રિકેટ પ્રત્યેનું ઝનૂન યથાવત છે. તે બે દિવસમાં દુબઈથી પરત આવી રહ્યો છે અને ત્યારબાદ આ અંગે લાંબી વાતચીત કરશું. તમે જે સમાચાર સાંભળ્યા છે તે સાચા છે.