ઘરઆંગણે ધોની પણ ફટકાબાજી કરે એવી ચેન્નઈના પ્રેક્ષકો આશા રાખશે
એમએસ ધોની
સ્પિન બોલરોને કારણે પંજાબ સામે ઘરઆંગણે રમાનારી મૅચમાં ચેન્નઈને ફેવરિટ ગણવામાં આવ્યું છે. આ પહેલાંની મૅચ બન્ને ટીમ હારી ચૂકી છે. રાજસ્થાન સામે ચેન્નઈ ૩૨ રનથી હાર્યું હતું તો લખનઉ સામે પંજાબ ૫૬ રનથી હાર્યું હતું. જોકે ઘરઆંગણે મૅચ હોવાથી ચેન્નઈ ખુશ છે, કારણ કે ધોની સ્પિનરો માટે મદદગાર પિચ પર પંજાબના બૅટર્સ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરશે. રાજસ્થાન સામે વિજય માટે ૨૦૩ રનના લક્ષ્યાંકને ચેન્નઈના બૅટર્સ આંબી શક્યા નહોતા. ઓપનર ડેવો કૉન્વે નિષ્ફળ રહ્યો હતો. ચેન્નઈના બૅટર્સની વાત કરીએ તો ઓપનર ગાયકવાડ, અજિંક્ય રહાણે સારા ફોર્મમાં છે. શિવમ દુબે પણ ઝડપથી રન બનાવે છે. જાડેજાનું બૅટિંગ ફૉર્મ ચેન્નઈ માટે ચિંતાજનક છે, પરંતુ ઑલરાઉન્ડર બોલિંગ અને ફીલ્ડિંગમાં એનું સાટું વાળી દે છે. તમામનું ધ્યાન ધોની પર પણ છે. પ્રેક્ષકો ઇચ્છે છે કે ધોની અહીં થોડાક બૉલ રમે. રાજસ્થાનના બૅટર્સ જ્યારે ફટકાબાજી કરતા હતા ત્યારે ધોનીએ તરત મહેશ થીક્સાના અને રવીન્દ્ર જાડેજા દ્વારા રનગતિને રોકી હતી. આજે રમાનારી મૅચમાં પણ ચેન્નઈ જાડેજા, થીક્સાના અને મોઇન અલી જેવા ત્રણ સ્પિનરની મદદથી રાજસ્થાનને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરશે. ફાસ્ટ બોલિંગમાં તુષાર દેશપાંડેએ ૧૪ વિકેટ સાથે ઈજાગ્રસ્ત દિપક ચહરની ખોટ પડવા દીધી નથી. યુવા અક્ષ સિંહ અને મીથીશા પથિરાના સાથે મળીને શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
બીજી તરફ પંજાબની ટીમ સાતત્યના અભાવથી પીડાઈ રહી છે. શુક્રવારે કૅપ્ટન શિખર ધવનની વાપસી પણ ટીમ માટે મદદરૂપ સાબિત નહોતી થઈ. લખનઉએ આપેલા વિશાળ લક્ષ્યાંક સામે શરૂઆત તો સારી કરી હતી, પરંતુ ત્યાર બાદ માર્ગ ભૂલી ગઈ હતી. ચેન્નઈ સામેની મૅચમાં ધવન, પ્રભસિમરન સિંહ અને અથર્વ તાઇડે સારી રમત બતાવવી પડશે. લિઆમ લિવિંગસ્ટોન પણ હજી સુધી અપેક્ષા મુજબનો સારો સ્કોર કરી શક્યો નથી. મુંબઈ સામે સૅમ કરૅને બૅટ અને બૉલ વડે ટીમના વિજયમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. અર્શદીપ સિંહ અને કૅગિસો રબાડાની હાલત લખનઉના બૅટરોએ બગાડી હતી, તેમણે પણ તરત સ્થિતિને સંભાળવી પડશે. સ્પિનરો માટે મદદગાર ચેન્નઈની પિચને જોતાં લેગ સ્પિનર રાહુલ ચાહરનો સ્પેલ મહત્ત્વનો હશે.


