લગ્નને લીધે તાજેતરમાં ન્યુઝમાં રહેનારા સચિનના પુત્રએ કહ્યું કે મારા ક્રિકેટર-મિત્રો બહુ ઓછા છે : પિતા બાદ તે યુવરાજ સિંહને આદર્શ માને છે
અર્જુન તેન્ડુલકર
સચિન તેન્ડુલકરનો પુત્ર અર્જુન IPLની આ સીઝનથી મુંબઈ ઇન્ડિયન્સથી લખનઉ સુપર જાયન્ટ્સ ટ્રેડ થયો છે અને ગઈ કાલે દિલ્હી સામેની પ્રથમ મૅચમાં તેનો પ્લેઇંગ ઇલેવનમાં ચાન્સ નહોતો લાગ્યો. જોકે એક પૉડકાસ્ટ દરમ્યાનનો ઇન્ટરવ્યુ ગઈ કાલે ભારે વાઇરલ થયો હતો. મોટા ભાગે એનો આ પહેલો જ ઇન્ટરવ્યુ હતો એટલે તેની ઘણીબધી પર્સનલ બાબત જાણવા મળી હતી. આ પૉડકાસ્ટમાં તેને એક લેજન્ડ ક્રિકેટરનો પુત્ર હોવાથી ચાહકો તેના પાસેથી ઘણીબધી અપેક્ષા રાખતા હોય છે અને એ પૂર્ણ ન થતાં સોશ્યલ મીડિયામાં ટીકાઓ થતી હોય છે એ વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે ‘હું ટીકાઓથી ગભરાતો નથી. સોશ્યલ મીડિયા અને નેટવર્કિંગમાં વધુ સમય નથી વેડફતો અને સંપૂર્ણ ધ્યાન રમત સુધારવા પર જ આપું છું. આને લીધે જ મારા ક્રિકેટર મિત્રો ખૂબ જ ઓછા છે અને મારા મોટા ભાગના મિત્રો ક્રિકેટ નથી રમતા.’ પોતાને શાંત અને કૂલ કેવી રીતે રાખે છે એવા પ્રશ્નમાં જવાબમાં તેણે કહ્યું હતું કે મારા ગોવાના ઘરમાં પાંચ ડૉગી છે અને હું એમની સાથે સમય વિતાવું છું. પિતાને બાદ કરતાં તેના આદર્શ ક્રિકેટર વિશે પૂછતાં તેણે યુવરાજ સિંહનું નામ લીધું હતું.
