કૅરિબિયન પ્રવાસ દરમ્યાન વિવિધ પરિસ્થિતિમાં રમવાનો લાભ ભારતીય ટીમના ખેલાડીઓને ઑસ્ટ્રેલિયામાં રમાનરા ટી૨૦ વર્લ્ડ કપમાં થશે
દિનેશ કાર્તિક
ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અમેરિકાના ફ્લૉરિડામાં આવેલા લોડરહિલ મેદાનમાં ગઈ કાલે રમાયેલી ચોથી ટી૨૦ પહેલાં વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિકે કહ્યું હતું કે કૅરિબિયન પ્રવાસમાં વિવિધ પરિસ્થિતિમાં રમવાને કારણે આ વર્ષે ઑસ્ટ્રેલિયામાં આયોજિત ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને ફાયદો થશે. ભારત ત્રણ ટી૨૦ વેસ્ટ ઇન્ડીઝમાં રમ્યું હતું અને બાકીની બે મૅચો ફ્લૉરિડામાં રમાવાની છે. દિનેશ કાર્તિકે કહ્યું કે ‘સિડનીના મેદાનમાં બન્ને સાઇડનું અંતર ઓછું છે તો સ્ટ્રેઇટનું અંતર વધારે છે. ઍડીલેડમાં પણ એવી જ પરિસ્થિતિ છે, તો મેલબર્નના મેદાનમાં એનાથી ઊલટું છે, સ્ટ્રેઇટનું અંતર ઓછું છે તો બન્ને સાઇડ બહુ લાંબી છે.’
૩૭ વર્ષનો કાર્તિક હાલમાં ફિનિશરનો રોલ ભજવે છે. તેણે કહ્યું કે ‘ફિનિશરનો રોલ એવો છે જેમાં સાતત્ય જાળવી રાખવું અઘરું છે. દર વખતે તમારે એવું પ્રદર્શન કરવું પડે છે જે ટીમ માટે મહત્ત્વનું હોય. વળી એવાં ઘણાં પરિબળો છે જે તમારું કામ પડકારભર્યું કરી નાખે. કૅરિબિયન અને માયામીમાં પવન બહુ મોટો ભાગ ભજવે છે.’
આઇપીએલમાં સારા પ્રદર્શનને કારણે કાર્તિકની ભારતીય ટીમમાં વાપસી થઈ છે. શું સારા પ્રદર્શનનું દબાણ રહે છે? એના જવાબમાં તેણે કહ્યું હતું કે નૅશનલ લેવલ પર રમતા હો ત્યારે તમારી પાસેથી અમુક અપેક્ષા હોય છે. તમારે મૅચની પરિસ્થિતિને સમજીને સારું પ્રદર્શન કરવાનું હોય છે.