આ પિચ પર કેવી રીતે રમવું એની અમને ખબર જ નહોતી : કોહલી
કોહલી
પહેલી ટી૨૦માં ભારતે ઇંગ્લૅન્ડના હાથે ૮ વિકેટે પરાજય જોવો પડ્યો એમાં વિરાટસેનાની ટૉપ ઑર્ડરની નિષ્ફળતા સૌથી વધુ કારણરૂપ હતી. મૅચ પૂરી થયા બાદ વિરાટ કોહલીએ પોતાની ભૂલ સ્વીકારતાં કહ્યું કે ‘અમને એ વાતની જાણકારી જ નહોતી કે અમારે આ પિચ પર શું કરવાનું છે. અમે જોઈએ એવા શૉટ નહોતા રમી શક્યા. અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ અને આવતી મૅચમાં ચોક્કસ દૃઢ નિશ્ચય સાથે મેદાનમાં ઊતરીશું. પિચને લીધે અમે એ શૉટ ન રમી શક્યા જે અમારે રમવા જોઈતા હતા. શ્રેયસે બતાવ્યું કે ક્રીઝનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ અને બાઉન્સિંગ પિચ પર કેવી રીતે રમવું જોઈએ. જો પિચને બરાબર પારખી લેવાય તો આક્રમક મૂડમાં રમી શકાય. ખરેખર તો અમે પિચની પૂરતી સમીક્ષા જ નહોતી કરી. જ્યાં સુધી ઐયરની વાત છે તો તે ઘણી સારી ઇનિંગ્સ રમ્યો, પણ ૧૫૦-૧૬૦ સુધી પહોંચતાં પહેલાં અમે કેટલીક વિકેટ ગુમાવી દીધી હતી. વર્લ્ડ કપ પહેલાં અમારે પાંચ મૅચ રમવાની છે અને નવી તરકીબનો અમલ કરીને કંઈક નવું કરતા રહેવાનું છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝને અમે હળવાશથી ન લઈ શકીએ.’