ટીમ-મૅનેજમેન્ટે સપોર્ટ કર્યો હોત તો હું વધુ 1વર્લ્ડ કપ રમી શક્યો હોત
યુવરાજ સિંહ
નવી દિલ્હી : (પી.ટી.આઇ.) ઇન્ટરનૅશનલ ક્ર્કિેટમાંથી વિદાય લેનારા ઇન્ડિયન ઑલરાઉન્ડર યુવરાજ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે જો ટીમ-મૅનેજમેન્ટે મને સપોર્ટ કર્યો હોત તો હું વધુ એક વર્લ્ડ કપ રમી શક્યો હોત. આ મુદ્દા પર વિસ્તારથી વાત કરતાં યુવરાજે કહ્યું હતું કે ‘મને એ વાતનો અફસોસ છે કે ૨૦૧૧ પછી હું વર્લ્ડ કપ ન રમી શક્યો. ટીમ-મૅનેજમેન્ટ કે આસપાસના લોકો પાસેથી મને ભાગ્યે જ સપોર્ટ મળતો હતો. જો એ લોકોએ મને સપોર્ટ કર્યો હોત તો હું વધુ એક વર્લ્ડ કપ રમી શક્યો હોત.’
પોતાની સાથે થયેલા વ્યવહાર વિશે વધારે વાત કરતાં યુવરાજ કહ્યું હતું કે ‘મેં ક્યારેય નહોતું વિચાર્યું કે ૨૦૧૭ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં જે ૮-૯ મૅચ રમાઈ હતી એમાં બે ગેમ્સમાં મૅન ઑફ ધ મૅચ મળ્યા છતાં મને ડ્રૉપ કરવામાં આવશે. હું ઇન્જર્ડ થયો અને મને પછી શ્રીલંકા સિરીઝ માટે તૈયારી કરવાનું કહેવાયું. જો હું યોયો ટેસ્ટ પાસ ન કરી શક્યો હોત તો વાત કંઈક અલગ હોત, પણ હું આ ટેસ્ટ પાસ કરી ગયો અને લોકો મને પાછળ ધકેલવા વિવિધ પ્રયાસ કરવા લાગ્યા. એ ખરેખર દુખદ કહેવાય કે જે પ્લેયર ૧૫-૧૬ વર્ષ ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમ્યો હોય તેને મોટી સિરીઝ કે ટુર્નામેન્ટ માટે નકારવામાં આવે. મને કોઈએ પછી કંઈ નથી પૂછ્યું. વીરેન્દર સેહવાગ કે ઝહીર ખાનને પણ કંઈ પૂછવામાં નથી આવ્યું.’