જેમ્સ ઍન્ડરસનનું ઉદાહરણ આપીને ચેતેશ્વર પુજારાએ કહી પોતાના મનની વાત
ચેતેશ્વર પુજારા
૩૬ વર્ષના ગુજ્જુ ક્રિકેટર ચેતેશ્વર પુજારા હાલ રણજી ટ્રોફીમાં શાનદાર ફૉર્મમાં જોવા મળી રહ્યો છે. પુજારાએ રણજી ટ્રોફીની હાલની સીઝનમાં ૧૦ ઇનિંગમાં ૭૪.૭૮ની ઍવરેજથી ૬૭૩ રન બનાવ્યા. સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના પુજારાએ આ સીઝનની ૨ સદી સાથે કુલ ૬૨ ફર્સ્ટક્લાસ સદી ફટકારી છે. ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં તેના નામની ચર્ચા ચાલી રહી હતી, પણ ટીમ-મૅનેજમેન્ટે યુવા ક્રિકેટર્સ પર ભરોસો રાખ્યો. જોકે પુજારાએ રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરીને વાપસીની આશા જીંવત રાખી છે.
એક ઇન્ટવ્યુમાં પુજારાએ જણાવ્યું કે હું માનું છું કે ઉંમર માત્ર એક નંબર છે. આપણી સામે જેમ્સ ઍન્ડરસનનું ઉદાહરણ છે જે ૪૧ વર્ષના છે, પણ ઇંગ્લૅન્ડના બેસ્ટ બોલર છે. દિગ્ગજ ટેનિસ પ્લેયર નોવાક જૉકોવિચે હાલ કહ્યું હતું કે ૩૫ એ નવું પચીસ છે. એટલે કે ૩૫ વર્ષની ઉંમર હવે નવી પચીસ વર્ષની ઉંમર છે. રમતની ગતિશીલતા બદલાઈ રહી છે અને પ્લેયર્સ ફિટ થઈ રહ્યા છે. મને નથી લાગતું કે ઉંમર કોઈ સમસ્યા છે. હું માત્ર ટેસ્ટ-ક્રિકેટ રમું છું, એટલે હું મારી ફિટનેસ સારી બનાવી શકું છું.
ADVERTISEMENT
આવી રહી છે પુજારાની ફર્સ્ટક્લાસ અને ટેસ્ટ-ક્રિકેટ કારકિર્દી
વર્ષ ૨૦૦૫માં વિદર્ભ સામે ફર્સ્ટક્લાસ ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનારા પુજારાએ ૨૬૩ ફર્સ્ટક્લાસ મૅચની ૪૩૪ ઇનિંગ્સમાં ૫૧ની ઍવરેજથી ૨૦,૨૧૭ રન ફટકાર્યા છે. તેણે ૬૨ સદી અને ૭૯ અડધી સદી પણ ફટકારી છે. તે ફર્સ્ટક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં ૪૪ વખત અણનમ રહ્યો છે. પુજારાએ પોતાની પ્રથમ ટેસ્ટ-મૅચ ૨૦૧૦માં ઑસ્ટ્રેલિયા ક્રિકેટ-ટીમ સામે રમી હતી. ભારતીય ટીમ તરફ રમતાં તેણે ૧૦૩ ટેસ્ટની ૧૭૬ ઇનિંગમાં ૪૩.૬૧ની ઍવરેજથી ૧૯ સદી, ૩૫ અડધી સદી અને ૩ બેવડી સદીની મદદથી ૭૧૯૫ રન ફટકાર્યા છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ ૭ જૂન, ૨૦૨૩ના રોજ રમી હતી.
