ટીમમાંથી એકસાથે બધા જ સિનિયર ખેલાડીઓ નીકળી ગયા, તેમનો આદર કરો, ટેસ્ટ-ક્રિકેટને હજી તેમની જરૂર છે
અજિંક્ય રહાણે
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અજિંક્ય રહાણેએ નિવૃત્તિ બાદ મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ૨૦૨૩માં ICC વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીતવામાં નિષ્ફળ ગયા પછી ટીમ ઇન્ડિયા મૅનેજમેન્ટ ધીમે-ધીમે એના સિનિયર ખેલાડીઓથી આગળ વધી ગઈ અને નવા ખેલાડીઓને એન્ટ્રી આપતી રહી એ વિશે અજિંક્ય રહાણેએ ચિંતા વ્યક્ત કરી છે. અજિંક્ય રહાણે કહે છે, ‘ટેસ્ટ-ક્રિકેટના ચાહકો આ રમતના સાચા પ્રેમી છે. છેલ્લાં બે વર્ષમાં નવા ખેલાડીઓ ટેસ્ટ-ક્ષેત્રમાં પ્રવેશ્યા છે. હું હજુ પણ માનું છું કે ટેસ્ટ-ક્રિકેટમાં ૭ કે ૮ વરિષ્ઠ ક્રિકેટરો અને બે કે ત્રણ યુવાનોનું મિશ્રણ જરૂરી છે. જોકે હવે આપણે જોઈ રહ્યા છીએ કે લગભગ બધા ખેલાડીઓ નવા છે. હવે ટીમમાં ભાગ્યે જ કોઈ સિનિયર ખેલાડીઓ બચ્યા છે. ટેસ્ટ-ક્રિકેટને તેમની જરૂર છે. તમારે સિનિયર ખેલાડીઓનો આદર કરવો જોઈએ. સમસ્યા એ છે કે બધા સિનિયર ખેલાડીઓ એકસાથે ચાલ્યા ગયા.’આ નિવેદનથી અજિંક્ય રહાણેએ ટીમ-મૅનેજમેન્ટ અને સિલેક્ટર્સને ટીમ ઇન્ડિયાના છેલ્લાં બે વર્ષના ટેસ્ટ-ક્રિકેટના ખરાબ પ્રદર્શન માટે ટૉન્ટ માર્યો હતો.
વિરાટ કોહલીએ કૅપ્ટન અને રવિ શાસ્ત્રીએ હેડ કોચ તરીકે ખરેખર ભારતીય ક્રિકેટને મજબૂત બનાવ્યું. વિદેશમાં રમતી વખતે તેમણે જ અમને આક્રમક અભિગમ રાખવા પ્રેરિત કર્યા હતા
- અજિંક્ય રહાણે
