કર્મચારીએ રાજીનામું આપી દઈને કેસ પણ જીતી લીધો
પ્રતીકાત્મક તસવીર
ચિલીમાં જો નામના એક ભાઈ ફૂડ કંપનીમાં અસિસ્ટન્ટ તરીકે જોડાયા હતા. સામાન્ય રીતે તેનો પગાર મહિને ૪૬,૦૦૦ રૂપિયાનો હતો. જોકે ૨૦૨૨માં મે મહિનામાં કંપનીએ પેરોલમાં ત્રુટિને કારણે તેના ખાતામાં એકસાથે ૧.૫૨ કરોડ રૂપિયા જમા કરાવી દીધા. કંપનીને જેવી ખબર પડી એટલે તરત જ કર્મચારીને વધારાની રકમ પાછી આપવા કહ્યું. શરૂઆતમાં જોભાઈએ હા પાડી, પણ પછી તેનું મન બદલાઈ ગયું. રકમ જમા થયાના ત્રીજા જ દિવસે તેણે રાજીનામું આપી દીધું અને કંપનીના મૅનેજરના ફોનનો જવાબ આપવાનું બંધ કરી દીધું. કંપનીએ જો પર ચોરીનો આરોપ લગાવીને તેના પર કેસ કર્યો. જો ૩ વર્ષ સુધી કોર્ટમાં કેસ લડ્યો. કોર્ટમાં જોએ સાબિત કરી દીધું કે કંપનીએ તેના પર ચોરીનું ખોટું આળ લગાવ્યું છે. કંપનીએ જે પૈસા ટ્રાન્સફર કર્યા હતા એ રકમ ગેરકાયદે હતી, પરંતુ ચોરીની નહોતી. આખરે કોર્ટે જોને ચોરીના ગુનામાંથી મુક્ત જાહેર કરી દીધો. જોકે કંપનીએ હજીયે સિવિલ કેસ દ્વારા વધારાની રકમ પાછી મેળવવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.


