અયોધ્યા રામ મંદિરના સ્ટાફ માટે સુવિધાઓ ઊભી કરવા ચેન્નઈની મહિલા ભક્તે ૪ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. જોકે, ચેક બૅન્કમાં જમા કરાવતા ખાતામાં માત્ર ૩ રૂપિયા હોવાનું સામે આવતાં ચેક બાઉન્સ થયો હતો.
રામ મંદિર માટે આપ્યો ૪ કરોડ રૂપિયાનો ચેક, બૅન્ક-અકાઉન્ટમાં નીકળ્યા માત્ર ૩ રૂપિયા
અયોધ્યાના રામ મંદિર ખાતે સેવા આપતા સ્ટાફ અને કર્મચારીઓ માટે સુવિધાઓ ઊભી કરવાના હેતુથી ચેન્નઈની એક મહિલા ભક્તે શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ૪ કરોડ રૂપિયાની માતબર રકમનો ચેક દાનમાં આપ્યો હતો, પરંતુ ટ્રસ્ટે જ્યારે આ ચેક બૅન્કમાં જમા કરાવ્યો ત્યારે બૅન્ક પણ ચોંકી ઊઠી હતી.
તપાસ કરતાં સામે આવ્યું કે જે બૅન્ક-ખાતાનો ૪ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો એ અકાઉન્ટમાં માત્ર ૩ રૂપિયા જ જમા હતા. પૂરતાં નાણાં ન હોવાને કારણે આટલી મોટી રકમનો ચેક બાઉન્સ થઈ ગયો છે.
આ ઘટના સામે આવ્યા બાદ બૅન્કનું તંત્ર તાત્કાલિક ઍક્શનમાં આવ્યું છે. ખાતામાં પૂરતું બૅલૅન્સ ન હોવા છતાં આટલી મોટી રકમનો ચેક શા માટે ઇશ્યુ કરવામાં આવ્યો એ વિશે સ્પષ્ટતા માગતી નોટિસ બૅન્ક દ્વારા મહિલા-ભક્તને મોકલવાની તજવીજ ચાલી રહી છે.
બીજી તરફ આ અનોખી ઘટનાની જાણ થતાં ટ્રસ્ટના સભ્યો પણ દાન આપનાર મહિલા સાથે વાતચીત કરીને સમગ્ર મામલો સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
