આધ્યાત્મિક પર્યટન માટેનો ખર્ચ કરવાથી પર્યટનનો વિકાસ થવા ઉપરાંત સ્થાનિક લોકોની આર્થિક સમૃદ્ધિ પણ વધશે
દેવેન ચોકસી
નાણાપ્રધાને બજેટમાં બધાને આવરી લેનારી જોગવાઈઓ કરી છે; જેમાં કૃષિ, રોજગાર-સર્જન, કૌશલ્યવૃદ્ધિ, ઇન્ફ્રાસ્ટ્રકચર, સૂક્ષ્મ-લઘુ-મધ્યમ એકમો, મહિલાઓ અને યુવા વર્ગ પર વિશેષ ધ્યાન અપાયું છે. ઉત્પાદન ક્ષેત્રને રોજગાર સાથે જોડીને યુવા વર્ગ માટે રોજગારની તકો વધારી દેવામાં આવી છે. શિક્ષણ, રોજગાર અને કૌશલ્યવિકાસ માટે ૧.૪૮ લાખ કરોડની ફાળવણી કરવાનું પગલું માત્ર કુશળ મનુષ્યબળના નિર્માણમાં જ નહીં, અર્થતંત્રમાં વૃદ્ધિ કરવામાં પણ મદદરૂપ ઠરશે.
આધ્યાત્મિક પર્યટન માટેનો ખર્ચ કરવાથી પર્યટનનો વિકાસ થવા ઉપરાંત સ્થાનિક લોકોની આર્થિક સમૃદ્ધિ પણ વધશે. આંધ્ર પ્રદેશ માટે કરાયેલી ફાળવણી ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરશે. નાના પાયાના ઉદ્યોગો માટે મુદ્રા લોનની રકમ વધારવાનું પગલું પણ આવકાર્ય છે. સરકારે ટૂરિઝમ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં પણ રોજગાર સર્જન વધશે.
ADVERTISEMENT
ખાનગી ક્ષેત્રને અણુઊર્જા માટે નાનાં રીઍક્ટર સ્થાપવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, જે એક સારું પગલું છે. અણુઊર્જામાં સંશોધન અને વિકાસ માટે ભંડોળની ફાળવણી કરવામાં આવવાથી સ્વચ્છ ઊર્જાના ઉત્પાદન માટે મોટાં રોકાણ થવાની શરૂઆત થઈ છે.
જોકે એટલું કહેવું રહ્યું કે નાણાપ્રધાને કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાં હાલમાં ફેરફાર કર્યા ન હોત તો સારું થાત. સરકાર આગામી વર્ષે નવો ડાયરેક્ટ ટૅક્સ કોડ લાવવાની છે ત્યારે આ સુધારા ટાળી શકાયા હોત.
- દેવેન ચોકસી, કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર

