ગયા શુક્રવારે જેન-ઝી અને જેન-આલ્ફાના વિદ્યાર્થીઓએ પ્રસ્તાવિત સ્થળાંતર સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું
સરાફા હાઈ સ્કૂલની વિદ્યાર્થિનીઓ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સરકારી સરાફા હાઈ સ્કૂલના સ્થળાંતર સામે વિદ્યાર્થિનીઓના ઉગ્ર વિરોધ બાદ રાજ્ય સરકારને પોતાનો નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે. મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવના તાત્કાલિક નિર્દેશોને અનુસરીને હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સરાફા સ્કૂલ એની જૂની બિલ્ડિંગમાં કાર્યરત રહેશે.
ગયા શુક્રવારે જેન-ઝી અને જેન-આલ્ફાના વિદ્યાર્થીઓએ પ્રસ્તાવિત સ્થળાંતર સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. મહાકાલ મંદિરની પાછળ આવેલી ઐતિહાસિક સરાફા સ્કૂલને ૧૦થી ૧૨ કિલોમીટર દૂર દાઉદખેડીમાં સાંદિપની શાળા સાથે ભેળવવાનો વિરોધ કરીને તેમણે કલેક્ટર ઑફિસનો ઘેરાવ કર્યો હતો. વિદ્યાર્થીઓએ અંતર, પરિવહન સમસ્યાઓ અને તેમની સલામતી વિશે પ્રશાસન સમક્ષ ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી હતી.
