ઢાબા-હોટેલોને પ્રાથમિકતા મળશે, પ્રવાસી મજૂરોને પણ પાંચ કિલોનાં સિલિન્ડરો આપવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
દેશમાં ચાલી રહેલા ગૅસના સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર આવતી કાલથી રાજ્યોને પહેલાં કરતાં ૨૦ ટકા વધુ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નો પુરવઠો પૂરો પાડશે. આ નવી વ્યવસ્થા ૨૩ માર્ચથી અમલમાં આવશે અને આગામી સૂચના સુધી અમલમાં રહેશે. હાલમાં દેશમાં LPGની અછત છે એટલે પુરવઠામાં વધારો કરવો એ એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ભવિષ્યમાં પુરવઠો સામાન્ય સ્તરે પાછો આવી શકે એ સુનિશ્ચિત કરવા માટે સરકાર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.
આ સંદર્ભમાં પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયના સચિવ ડૉ. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને આ વિશે માહિતી આપી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે કમ્યુનિટી કિચન, રેસ્ટોરાં, ઢાબા, હોટેલ અને ઔદ્યોગિક કૅન્ટીનને પ્રાથમિકતા આપવી જોઈએ. સરકારનો ઉદ્દેશ ખાદ્ય અને પીણાં સેવાઓ અને ખાદ્ય ઉદ્યોગ પર કોઈ પણ અસરને ઓછામાં ઓછી કરવાનો છે. વધારાના ગૅસપુરવઠાથી ફૂડ પ્રોસેસિંગ એકમો અને ડેરી ક્ષેત્રને પણ ફાયદો થશે.
ADVERTISEMENT
પ્રવાસી મજૂરો માટે પ્રાથમિકતાના આધારે પાંચ કિલો ફ્રી ટ્રેડ LPG (FTL) સિલિન્ડર પૂરાં પાડવાની સૂચના પણ આપવામાં આવી છે. ગૅસના કાળાબજાર અથવા દુરુપયોગને રોકવા માટે પણ પગલાં લેવામાં આવ્યાં છે.
